પૃષ્ઠ:Nupur Zankar.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨


(ઉપજાતિ.)

અને મચી દિવ્ય જ રાસલીલા,
વાગ્યા સુરો વાદ્યતણા રસીલા;
એ સુન્દરીઓ નવ તાલ ચુકે,
વિલાસથી શા ચરણો જ મૂકે ! ૨૮
અનેક ત્ય્હાં હું ધરીને શરીર
ભળ્યો મહારાસ વિશે સલીલ;
પ્રત્યેક એ સુન્દરીને ગ્રહંતો
રમી રહ્યો રાસરસે વહંતો. ૨૯

(વસન્તતિલકા.)

આનન્દ એ સ્થિર સનાતનરૂપ દેતી
સૌન્દર્યમૂર્તિ નવ જો ! સરતી કરેથી !
આશ્ચર્ય એ મુજ મને ઊપજ્યું, અને જો !
સંદેહ એ ઝટ મહાપુરુષે જ છેદ્યો.  ૩૦
“હે વત્સ ! જે ખરી પડ્યા તુજ સ્પર્શ થાતાં
સૌન્દર્યના કણ જ શુન્ય વિશે સમાતા;
દિવ્યપ્રભાવ થકી એ અણુરેણુમાંથી
સૌન્દર્યસૃષ્ટિ રચી મ્હેં જ નવીન આહિ.  ૩૧

(અનુષ્ટુપ)

સ્થાયી સૌન્દર્યની મૂર્તિ ગ્રહતાં ન જશે ખશી,
દિવ્ય આ भावनासृष्टि અહિંયાં નિત્ય છે વશી.” ૩૨

----------------X--------------