ચિતરાવી પાંચાએ પાટનગર પર બીડ્યા.
એકેયનો જવાબ આવ્યો નહિ.
સેનાપતિના અમલદારો આવી આવીને પાંચાને સતાવતા હતા. એના ઉપર ઢોરોની ચોરીલૂંટના આળ ચડતાં.
હતાશ અને અપમાનિત પાંચો અફીણની લતે ચડ્યો. છ મહિને તો ડૂલી ગયો.
[15]
એક દિવસ અધરાતના સુમારે પાંચાના ઘર સામે એક ભાડાત સાંઢિયો ઝોકારાયો. પાછળની બેઠકમાંથી ઊતરતો ઉતારુ ગોથું ખાતો ખાતો રહી ગયો. સાંઢણી-સવાર ભાડું લઈને ઊપડી ગયો.
મહેમાનના હાથમાં એક પાકીટ હતું ને બગલમાં એક કૅમેરા લટકતો હતો.
ઢોલિયા ઉપર ઘોરતા પાંચાભાઈને એણે ઢંઢોળ્યો : “ભાઈ હવે કિયે સ્વાદે નસ્કોરાં ઢરડે છે ? ઊઠવાનો સમય થઈ ગયો.”
“હે-હે-હે ખડેલી ! આઘી મર !” એમ બોલતાં બોલતાં પાંચાએ ઊંઘમાં પગની લાત નાખી. અફીણના કેફમાં એ ગરકાવ હતો.
એના મનમાં થયું કે ઢોલિયા કને પાડી આવેલ છે.
પરોણાએ એના કાનમાં બૂમ પાડી : “પાંચાભાઈ ! ભાઈજી ખલાસ ! કામ કાઢ્યું બેટાઓએ !”
સ્વપ્નમાં ભણકારા સંભળાયા હોય તેવી નઘરોળ હાલતમાં પાંચો બેઠો થયો. બેઠાં બેઠાં એણે માથું ખંજવાળ્યું. નસ્કોરાં ફરીથી બોલ્યાં, એણે મોં ચોળ્યું અને પૂછ્યું : “શું છે ? કોણ છો તું, કાળજીભા ?”
“પાંચાભાઈ !” મહેમાને ઉત્તર દીધો : “ભાઈજીને તો ગઈ કાલે રાત્રે ગોળીથી ઠાર કર્યા.”
“કોણે ?” હજુ એ અર્ધનિદ્રાની બેપરવાઈમાં જ રમણ કરતો હતો.
“સેનાપતિએ, ઉમેરાવોએ ને ઠાકોરોએ રાજમહેલમાં જ એને ઘેરી લીધા. ભાઈજી કહે કે બે ઘડી ખમો તો છેલ્લું કામ કરી લઉં. પછી