'ક્યારે છૂટ્યા?'
'ગઈ કાલે જ, આજનાં છાપાંમાં બધી હકીકત છે.'
'એમ? આપનું નામ શું ?'
'મારું નામ નથી જાણતા? મારું નામ જયંતકુમાર.'.
ગંભીર ગૃહસ્થે યુવક સામે જોયું. યુવકની સાદાઈમાં અભિમાન રહેલું તેમને લાગ્યું. છતાં વર્તમાનપત્રમાં એમ. એ.નો અભ્યાસ છોડી અસહકારના યુદ્ધમાં પડેલા એક નવી ઢબના નામવાળા યુવકની કીર્તિના પડઘા પડેલા તેમને યાદ આવ્યા. આ યુવકે આખી પાઠશાળામાં હડતાલ પડાવી મુખ્ય અધ્યાપકને તોબાહ પોકરાવી હતી; તેણે અસરકારક ભાષણ આપ્યાં હતાં; અમલદારોની ટીકા કરી લોકોને હસાવ્યા હતા, અને પોતાના વીરત્વભર્યાં દ્રષ્ટાંતથી અનેક બીકણોના હૃદયમાં શૌર્ય ઉપજાવ્યું હતું.
આવા આશાભર્યા યુવકનું આગેવાનમાં સ્થાન હોય એમાં નવાઈ નથી. પરંતુ પેલા ગૃહસ્થને યાદ આવ્યું કે કો'ક સવારે એવા જ નામના યુવકને થયેલી કેદની શિક્ષાએ તેમના અંતઃકરણમાં નિઃશ્વાસ પ્રેર્યો હતો.
'ગાંધીએ છોકરાઓના અવતાર બગાડી નાખ્યા !' તેમના મનમાં તે વખતે ઉદ્ગાર પણ સ્ફુરી આવ્યા હતા. એ જ આછી પ્રખ્યાતિ પામેલ યુવક આજે અનેક મનુષ્યના જયનાદ વચ્ચે તેમની પાસે આવી બેઠો હતો.
'ઠીક, જયંતકુમાર, હવે ક્યાં જશો?' ગૃહસ્થે પૂછ્યું.
'મારા પિતાને મળતો આવું.'
'પછી?'
“પછી શું ? યાહોમ ! આટઆટલા સંઘને પ્રેરણા આપનાર હું હવે બેસી રહું એ બને જ નહિ. લ્યો સાહેબ, આ પ્યાલો. આપનું નામ ?' જયંતકુમારે પૂછ્યું.
'મારું નામ મહાવીર.' પેલા દૂબળા દેખાતા ગૃહસ્થે કહ્યું.