'આપ જૈન હશો.' જયંતે પૂછ્યું.
'ના જી, હું કૃષ્ણનો – કૃષ્ણની ગીતાનો ઉપપાસક સનાતની છું.' સહેજ કટાક્ષમાં દુર્બળ ગૃહસ્થ બોલ્યા. તેમની આંખમાં ચમક વધી ગઈ.
ચા પીતે પીતે ત્રણે જણ વચ્ચે ઘણી વાતચીત થઈ એમ કહેવા કરતાં જયંતકુમારે જ મોટે ભાગે વાત કરી એમ કહેવામાં હરકત નથી. તેમણે મહાવીરને પૂછ્યું :
'ગીતાના આપ ઉપાસક છો ત્યારે દેશની લડતમાં આપનો કાંઈ ફાળો હશે જ.'
'હું અહિંસામાં માનતો જ નથી.' મહાવીરે કહ્યું.
'કારણ?'
'કુદરત અને ઈતિહાસ બન્ને અહિંસાનાં વિરોધી છે.'
'કુદરત એ હૃદયસંપન્ન માનવીઓ માટે ખોટો ભોમિયો છે. અને ઈતિહાસ તો આપણે રચીએ તેવા રચાય.'
એ દલીલનો કોઈએ જવાબ આપ્યો નહિ. માનવીના આગ્રહો અને દુરાગ્રહો એટલા પ્રબળ હોય છે કે તે દલીલથી ફેરવાતા નથી અને માનવી પોતાને ભારે વિચારવંત પ્રાણી તરીકે ઓળખાવવા મથે છે !
બીજું સટેશન આવ્યું. પોલીસની નાની નાની ટુકડીઓ સ્ટેશન ઉપર ગોઠવાઈ ગઈ હતી; ગાડી ઊભી રહેતાં બરાબર એ ટૂકડીએ એ દરેક ડબ્બા ઉપર ધસારો કર્યો.
'મારે માટે હશે.' જયંતકુમારે બેદરકારીભર્યા દેખાવથી હસીને જણાવ્યું.
મહાવીર હસ્યો. તેણે કહ્યું :
'તમને તમારું બહુ મહત્ત્વ લાગે છે.'
આ યુગના યુવકો વાગ્યુદ્ધમાં કોઈથી હારતા નથી. તેમનું ચબરાકપણું અડકી શકાય એવું ધન હોય છે. જયંત માર્મિક વાગ્વિનોદમાં