'હાય, હાય ! આખા ગામને ઘેલું બનાવે એવી રૂપાળી હતી.'
વરતણિયાએ દિલગીરીથી જણાવ્યું.
છ માસ સુધી આ ચંદા મારા મગજમાંથી ખસી નહિ. એ વાત મેં કોઈને કહી પણ નહિ. વરસેક દિવસ વીતતાં એ બનાવની રોચકતા ચાલી જવા માંડી. પરંતુ એક દિવસ કેટલાક સરકારી કાગળો મારા હાથમાં આવ્યા. ઘેલછાના આવેશમાં કોઈનું અકસ્માત મૃત્યુ થયું હતું તે કામ નિકાલે રહેવા મારી પાસે આવ્યું. મેં શિરસ્તેદારને પૂછયું :
'માણસ શાથી મરી ગયો?
'અકસ્માત કૂવામાં પડ્યો.'
'એનાં સગાંવહાલાંના જવાબ છે ? '
'હા, જી. એની વહુ મરી ગયા પછી એ ઘેલો બની ગયો હતો.'
હુ ચમક્યો. મેં આગળ પૂછ્યું :
'એની માનો કશો જવાબ છે?'
'હા. જી. એ તો કહે છે કે એની બૈરી કૂવે પડી ભૂત થઈ. હતી. તે એને વળગી અને એને કૂવામાં ખેંચી ગઈ, એટલે અકસમાતની કલમમાં કામનો નિકાલ થઈ શકશે.'
'મરનારનું નામ કાનો છે ને?'
'હા, જી.'
'ઠીક. કાગળ મૂકો. હું ઠરાવ લખી નાખીશ.'
પરંતુ ઠરાવ લખતાં પહેલાં આ આખી નોંધ મેં લખી કાઢી. કાયદામાં ભલે એ અકસ્માત ઘેલછાનું પરિણામ મનાય, પરંતુ મને તો એમાં જીવંત પ્રેમનું સ્પષ્ટ પરિણામ જણાયું.
પ્રિયતમ જીવતો હોય તો પ્રિયતમા કેમ મરી શકે ? દેહ ભલે લુપ્ત થાય પરંતુ પ્રેયસી સૂક્ષ્મ દેહે આસપાસ ફર્યા જ કરે ને?
અને પ્રિયતમાનો દેહ ન દેખાય તો પ્રિયતમમાં ઘેલછા કેમ ન ઊપડે ? એ ઘેલછા સિવાય આસપાસ ફરતો સૂક્ષ્મ દેહ તેને કેમ