પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૧૧
 

કહ્યું.

'ગામના નગરશેઠનો ભત્રીજો છે.'

'તું શાથી જાણે છે?'

'એક રબારણની મશ્કરી કરવાના કામે એ સપડાયો હતો.'

'પછી ?'

'પછી શું ? માંડવાળ થઈ, અને ફરિયાદ પાછી ખેંચી લેવાઈ.'

'પૈસા વેર્યા હશે.'

'થોડું ઘણું તો ખરું સ્તો !'

અમલદારની મહેનત સફળ થઈ. સૂર્યકાંત નામનો નગરશેઠને ભત્રીજો છે, એટલી વાત આગળ આવી. ધનિકો, અને ધનિકોના ભાઈભત્રીજા તરફ ખૂનીઓની આંખ વળેલી હોય છે જ.

'એ પરણેલો છે?' અમલદારે પૂછ્યું.

‘એ ખબર નથી.'

'હરકત નહિ.' કહી અમલદાર ઊભા થયા, અને દોડતી ગાડીએ નગરશેઠને ઘેર પહોંચ્યા.

પોલીસથી સૌ કોઈ બીએ છે. નગરશેઠ પોલીસ અમલદાર આવ્યા જાણ્યા અને ભયમિશ્રિત આવકારથી અમલદારને વધાવ્યા.

'કેમ સાહેબ, આપને તસ્દી લેવી પડી ?' શેઠે પૂછ્યું.

'આપના ભત્રીજાનું કામ છે.' અમલદારે કહ્યું.

'ભત્રીજો ! પાછું શું એણે ઊભું કર્યું છે?'

'જરૂરનું કામ છે.'

'અહી બોલાવું ?'

'ના, એમને એકલો પ્રથમ મળીશ.'

'હમણાં તો મેં એને જુદો રાખ્યો છે, મારા કમ્પાઉન્ડમાં જ જુદા બંગલામાં રાખ્યો છે.'

ચોક્કસ પોલીસઅમલદારને બધી જ વિગતો ઉપયોગી નીવડે છે.

નગરશેઠને અને ભત્રીજાને બનતું નથી, એટલું એ વાતમાંથી સ્પષ્ટ થયું.