પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૧૩
 

પ્રામાણિક અને ચોખ્ખા હૃદયનો સાબિત કરતી હતી.

'કાકા તમારા દુશ્મન છે?' અમલદારે પૂછ્યું.

'સાહેબ, અમારા ખાનગી ઝઘડામાં શું કરવા પડો છે ?'

'તમારા ખાનગી ઝઘડા જાહેર બને છે એટલે મારો શો ઇલાજ ?'

'એક રબારણનું તોફાન ઊભું કરી માંડી વળાવી મને ફસાવવા પ્રયત્ન કર્યો; હવે બીજું શું ઊભું કરે છે?'

'તમારા કાકાને અને તમારે કેમ બનતું નથી ?'

'આપ નથી સમજી શકતા ?'

'બધું સમજું છું, પણ તમારી પાસેથી જ મારે વાત જાણવી છે.' કંઈ જ ન જાણતા અમલદારે એટલું તો સમજી લીધું હતું કે કાકાભત્રીજા વચ્ચે ભારે અણબનાવ હતા. રતિલાલના કાવતરા સાથે આ અણબનાવને સંબંધ તો નહિ હોય? આ કામે ખૂબ દક્ષતા રાખવાની હતી. સૂર્યકાંત વાતમાં અને વાતમાં ઘણી વિગતો જણાવી દેશે એમ લાગ્યું.

'કાકાની મિલકતમાં હું ભાગીદાર છું એ જાણો છો ને?' સૂર્યકાંતે કહ્યું.

'હા સ્તો. એમાં કાંઈ કોઈનું ચાલે એમ છે?'

'હા. કાકાનું ઘણું ચાલી શકશે. ગુનામાં સંડોવી મને નાલાયક બનાવી શકશે.’

‘પણ એટલું વેર શા માટે?'

'કાકીની નાની બહેન સાથે મારું લગ્ન કરાવવું છે.'

'એમાં હરકત શી છે?'

'હરકત? તમે એને જુઓ, પછી એ પ્રશ્ન કરો.'

'તમારા વડીલોનું તમારે માન રાખવું જોઈએ.'

'લગ્ન સિવાયની બધી વાતમાં હું માન આપું છું.'

'તમારી ઈચ્છા કોની સાથે લગ્ન કરવાની છે?'