ય સટ્ટો રમી શકાય. પછી સામ્યવાદનો હિસાબ શો? છતાં મને ન સમજાતા પ્રશ્નો ગામડામાં ચર્ચાય એ મને ચમકાવનારું તો લાગ્યું જ.
મેં એક બીજા માણસને પૂછ્યું :
'મધુકર ક્યાં મળી શકશે ?'
'મધુકરભાઈ ? એ તો અહીં રહેતા નથી.
'અહીં આવ્યો છે.'
'આવ્યા હોય તો મળ્યા વગર રહે નહિ'
'મધુર ખરેખર નહિ આવ્યો હોય ? કોને પૂછવું ? હું પરગામી છું એવું બધાંયને લાગ્યું હતું. મારા તરફસહુની દ્રષ્ટિ ફરતી. હું તેની પાસેથી પ્રસંગ જોઈ ઉત્સવની માહિતી મેળવતો. મને લાગ્યું કે કોઈ આદર્શ બાઈ ત્રણેક વર્ષ પહેલાં અહીં ગુજરી ગયેલી તેની આજ મૃત્યુતિથિ હતી. એ તિથિએ ગામલોકો નવી ઢબની જયંતી ઊજવતા. એ બાઈનાં મેં બહુ વખાણ સાંભળ્યાં. ગામલોકો એને દેવી તરીકે માનતા હોય એમ લાગ્યું. ગાંધીયુગમાં કંઈક દેવીઓ, જાગી, કંઈક સિંહણો ગર્જી, અરે કંઈક ચંડીકાઓએ છુટે વાળે–અગર બૉબ્ડ વાળ સાથે મહિષાસુરમર્દનના ખેલ કર્યા ! મને એ દેવીઓ. સિંહણો અને ચંડીકાઓમાંથી ખૂબ રમૂજ મળતી. એ બધી વીરાંગનાઓ જોતજોતામાં બાળકનાં હાલરડાં ગાતી બેસવાની છે એવું મેં ભાખેલું ભવિષ્ય હવે તો ખરું પડેલું નિહાળું છું. એટલે એ બાઈની મૃત્યુતિથિમાં મને રસ પડ્યો નહિ. હું ત્યાંથી પાછા ફરવાની તૈયારી કરતો હતો. મધુકરને સહુ ઓળખતા લાગ્યા. પરંતુ તે આવ્યો હોય એમ કોઈ કહેતું નહોતું. મધુકર ન મળે તો મારે ગાડી પકડવી હતી.
ખૂણામાંથી એક વૃદ્ધ મારી પાસે આવ્યો, અને મને પૂછવા લાગ્યો :
'મધુકરભાઈને ખોળો છો ? '
'હા.'
'કોઈને કહેશો નહિં. મારી પાછળ ચાલ્યા આવો.'