'તું તો ઘેલો થયો છે. શા માટે તારા પૈસા આપી દેવા મથે છે?' રામરાય ઠપકો આપતા.
'અરે’ પણ તું ન હોત તો મારી સ્થિતિ કેવી થાત? અડધી રાતે તે વગર જામીને પાંચ હજાર જેટલી રકમ આપી એ હું ભૂલી જઈશ?'
'તેથી શું? તેં મને મારી માગતી રકમ આપી દીધી છે.'
‘ના; વ્યાજ બાકી છે.'
'મારે વ્યાજ ભરવું પડ્યું નથી એટલે હું વ્યાજ લેવાને નથી.'
'જો; એ તારા વ્યાજની રકમ જુદી કાઢી તેમાંથી આટલી રકમ કરી છે. એ લીધા વગર ચાલશે જ નહિ.'
'તું યે જાદુગર છે. પાંચ હજારનું વ્યાજ અને એ વ્યાજની રકમમાંથી દસ-બાર હજારની રકમ તું કરી લાવ્યો ! એ તારી આવડતનું ફળ હું ન લઈ શકું.'
'વેપારમાં તો એમ જ બને !'
'મેં ક્યાં વેપાર કર્યો છે?'
'તારી રકમનો તારે નામે મેં વેપાર કર્યો.'
'જો ખરી રીતે તારે મને બદલો આપવો હોય તો તારી આખી મિલકત મને લખી આપ. મેં એ રકમ આપી તેથી તું લક્ષાધિપતિ થયો, એટલે તું જે કમાયો તે બધું જ મારું છે.'
આ સાંભળી જતાં રણજિતરાયે મુનીમને બૂમ મારી અને દસ્તાવેજ મંગાવ્યો. મુનીમને હુકમ કર્યો :
'આપણી બધી મિલકત રામરાયને નામે કરી દ્યો.'
રામરાય હસ્યા. તેમણે મુનીમને કહ્યું :
'તમારા શેઠને ઉદારતાની આંકડી આવી છે. રખે એના કહ્યા પ્રમાણે કંઈ કરતા.'
આમ રામરાયે પોતાને નામે ચાલતી રકમ રણજિતરાયના ભારે પ્રયત્ન છતાં લીધી નહિ. રામરાય ગુજરી ગયા પછી નીલમગૌરીને તે