મન મોટું પર્વ ગણાય છે. વાતે ચડેલા વિનોદરાયે એકાએક પૂછ્યું :
'અત્યારે ટાઢ છે કે શું?'
'ના રે, સાહેબ!' એક વિદ્યાર્થીએ કહ્યું.
'ત્યારે મને થોડી વારથી કમકમી કેમ આવ્યા કરે છે?'
'તાવ તો નથી આવ્યો, સાહેબ ?'
'શું બોલે છે તું ?' કાલે તમારી મૅચ અને આજે મને તાવ આવે? એ બને જ નહિ.' હસતાં હસતાં વિનોદરાયે કહ્યું અને પોતાનો હાથ કપાળ ઉપર, બીજો હાથ છાતી ઉપર ફેરવી તેઓ બોલ્યા :
'કાંઈ શરીર ઊનું લાગતું નથી.'
છતાં ટાઢથી શરીર કંપી ઊઠતું અટક્યું ન હતું. તેમણે હાથ લાંબો કરી એક વિદ્યાર્થીને પૂછ્યું :
'જો, તને કેમ લાગે છે?'
'સાહેબ તાવ જ છે. હાથ ગરમ લાગે છે.'
'ડૉક્ટરને બોલાવું?' બીજા વિદ્યાર્થીએ કહ્યું.
એ તો તરત ઊતરી જશે. હમણાં ક્વિનીન લઉં છું.' કહી વિનોદરાય પથારી પથરાવી અને સૂતા. બરોબર ત્રણેક ગોદડાં ઓઢી લીધાં.
'હવે તમે બધાં જાઓ.' વિનોદરાયે કહ્યું.
'સાહેબ ! કહો તો રાત્રે આવીએ.' એકબે વિદ્યાથીઓ જતાં જતાં બોલ્યા.
'ના રે, એમાં શી મોટી વાત છે?' કહી વિદ્યાર્થીઓને વિદાય કરી સૂતેલા વિનોદરાય સવારમાં વિદ્યાર્થીઓ તેમની ખબર જોવા આવ્યા ત્યાં સુધી તો ઊઠ્યા જ નહોતા.
શિષ્યોની વફાદારી સૈનિકો સરખી જ હોય છે. શિક્ષકના ઘણા દોષ તેઓ ચલાવી લે છે. શિક્ષકો માટે તેમને કદી વેર વસતું નથી. શિક્ષાનો બદલો લેવાની તેઓ ભાગ્યે જ ઈચ્છા કરે છે. શિક્ષકોની