પૃષ્ઠ:Pankaj.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : પંકજ
 

લાગ્યું કે તે લૂગડાંમાં મુખ ઢાંકી દેશે.

'કેટલી શરમાય છે ! ચાલ, હું આંખ મીંચી દઉં, અને તું મારી પાસે આવ, ધીમે ધીમે.'

સુરેન્દ્ર આંખ મચી સૂઈ ગયો. તેની પત્ની તેની પાસે આવી કે નહિ તે તેણે કોઈને કદી કહ્યું નથી. પરંતુ બીજે દિવસે જ તેના મુખ ઉપર પ્રસન્નતા છવાયલી સહુએ નિહાળી.

ત્યારથી સહુને લાગ્યું કે સુરેન્દ્રનો ઘા રુઝાયો. ફરી લગ્ન કરવાની સલાહ આપવાના દિવસ પાસે આવે છે એમ તેના મિત્રોને લાગ્યું. અને લાગ જોઈ એક આનંદભરી ક્ષણે તેના મિત્રોએ તેને સલાહ આપી પણ ખરી. પરંતુ જવાબમાં તેમને નકાર મળ્યો. સુરેન્દ્ર પોતાની પત્ની મૃત થઈ છે એમ માનતો હોય એવું ન લાગ્યું.

મિત્રોના ગયા પછી સુરેન્દ્ર એકમ પોતાની સૂવાની ઓરડીમાં દોડી આવ્યો. તેનું મુખ ઊતરી ગયું હતું, તેનું હૃદય ધડકધડક થતું હતું. હા, એક દિવસ તેને એક ભયંકર સ્વપ્ન આવ્યું હતું ખરું. તેની પત્નીના મૃત્યુને ભયાનક વિચાર તેના મનમાં પાછો ઊભો થયો. તે વિચારમાં ઊંડો ઊતરી ગયો. નિ:શ્વાસ નાખી તેણે સહજ દ્રષ્ટિ ઊંચી કરી. સામે પત્નીનું મુખ હસતું હતું.

'કોનું મૃત્યુ ? અને શી વાત ? મને આ શાની ઘેલછા લાગી છે?' તે બોલી ઊઠ્યો.

'શું થયું ?' પત્ની જાણે પૂછતી હોય એમ સુરેન્દ્રે ભણકાર સાંભળ્યો. તેણે જવાબ આપ્યો : -

'બધાં એમ ધારે છે કે તું સ્વર્ગવાસી થઈ. ખરી વાત?'

પત્નીએ ડોકું હલાવી ના પાડી.


નોકરનો ભય સહજ ઓછો થયો. સુરેન્દ્ર ઓરડીમાંથી બહાર આવી તેને બોલાવતો હતો.