માટેની ચિંતા મારા મનમાં જાગી. એ ચિંતાને લીધે હું ફરી બેત્રણ વખત તેને મળવા ગયો પરંતુ તેનો મેળાપ મને થયો નહિ.
એક દિવસ રસ્તામાં એક સહજ ઓળખીતા માણસે મને ઊભો રાખ્યો અને પૂછ્યું :
'કેમ?' જાણ્યું ને તમે?'
હું કાંઈ સમજ્યો નહિ. પેલા માણસના મુખ ઉપર કાંઈ નવી આનંદભરી વાત કહેવાની ઈન્તેજારી હતી. મેં કહ્યું :
'ના, ભાઈ, શી વાત છે?'
‘આ તમારા મન્મથભાઈનાં ડોલચાં બેસી ગયાં.' અનિષ્ટ સમાચાર આનંદપૂર્વક કહેવામાં કેટલાક લોકો એક્કા હોય છે. એ માણસને ધોલ લગાવી દેવાનું મને મન થયું. પરંતુ આ જગતમાં મન મુજબ કરવાની છૂટ ભાગ્યે જ કોઈને મળે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું :
'એમ? શું ખરું કહો છો?'
'આખું ગામ જાણે છે અને તમને ખબર નથી ?'
'ના, ભાઈ, બહુ ખોટું થયું.'
'એ તો જાણી મૂકેલું જ હતું. બહુ કરે તે થોડાંને માટે. બંગલો મોટર ગયાં.'
'આપ એના દુશ્મન કે હરીફ છો !'
'ના, જરા ય નહિ. એણે તો મને ઠીક ખટાવ્યો છે.'
'ત્યારે તમે આટલા આનંદથી કેમ વાત કરો છો ?'
આ પછી અમારી વચ્ચે ઝાઝી વાત થાય એમ હતું જ નહિ.
નોકરી ઉપર જવાને બદલે હું એકાએક મન્મથ પાસે દોડ્યો. તેનું મુખ સહજ ઝાંખું હતું. પરંતુ મને જોતાં જ તેણે હસીને મને બેલાવ્યો.
‘કેમ ? તું મને આશ્વાસન આપવા આવ્યો છે?'
‘તારા મુખ ઉપરથી તને આશ્વાસનની જરૂર દેખાતી નથી. પણ કહે તો ખરો કે શું થયું ? મારો ઉપયોગ થાય તો કરી લેજે.'