તેમને પત્તો મેળવવા માથું કોરે મૂકીને ભયંકર જગ્યાઓમાં ભટકેલા, યુક્તિપ્રયુક્તિઓ ને પ્રપંચો વાપરીને તેમનાં રહેઠાણમાં જઇ પહોંચેલા, અને છેવટે તો બધો જ જશ પોતાના ગોરા ઉપરીને જ ખાટી જવા દઈ રૂપિયા બે પાંચનાં ઈનામો અગર નજીવાં પ્રમોશનથી સાંત્વન લેનારા આ દેશી પોલીસ નોકરોમાં કાંટીઆ વર્ણના લોકો હતા તેટલા જ પ્રમાણમાં બ્રાહ્મણો વાણિયાઓ હતા. આવાં પાત્રોનો સંપર્ક મને સારા પ્રમાણમાં થયો છે. તેનું એક મહત્વનું લક્ષણ એ છે કે બહારવટિયા લૂંટારાની વાતોમાં પોતે સામા પક્ષને ઉતારી પાડી પોતાની જ શેખી ગાતા નથી હોતા, પણ સામા પક્ષની બહાદુરી, નેકી, ઇમાનદારી વગેરે પણ ચીતરે છે. એક જ ધરતીનાં સંતાનો દૈવગતિથી બે સામસામી છાવણીઓમાં વહેંચાઈ ગયાં અને માથે આવેલી કડવી ફરજ બજાવવાની જ હતી, એ આ લોકોની વૃત્તિ હતી.
રાણાભાઈ પાસેથી મળેલ છેલ્લું ટાંચણ આપીને એમના મૃત આત્માને સલામ દઉં છું —
ગુરગટના જમાદાર ઉમર આમદ ભેગો જૂસો મનરો નોકરીમાં હતો. જમાદારે હુકમ કર્યો કે ગુરગટના આયર ભીમાં કાળાની દીકરા-વહુને તેડવા ગાડું મોટે આસોટે જાય છે તેની સાથે જાવ.
વહુને તેડીને ગાડું સોનારડીને પાદર આવ્યું.
મૂળુ માણેક (વાઘેર બહારવટિયો) તે વખતે જખ્મી થઇને સોનારડીના ગરાસીઆને ઘેર રહેલ, પાસે પૈસા ન મળે. એટલે ખરચી મેળવવા માટે વાઘેરોએ ઓડા બાંધ્યા હતા. ગાડું નીકળ્યું. પૂછ્યું,
‘ક્યાનું ગાડું ?’
‘ગુરગટનું’
‘ક્યાં ગયું’તું ?’
‘આસોટે.’
‘કોણ છે સાથે ?’