જસદણ અને જેતપર જબદી
ડરિયા મૂળુ શેલો દોય.
જેતપરના મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે આ તાપથી અકળાઈ અંગ્રેજ સરકાર પાસે અરજ કરી. સરકારે કહ્યું– ‘જોગીદાસને લઇ આવો તો ઊગરશો—’ પોતાના જાતભાઈઓને ઉગારવા જોગીદાસ શરણે થયા. એ બનાવથી તો આ ચારણી કાવ્યનો કર્તા ભાવનગરનો સ્તુતિકાર હોવા છતાં ય એટલી વેદના પામ્યો કે એણે એજ કાવ્યમાં ગાયું—
ખાળા ચાળા મેલ્ય ખુમાણે
વાળાનો કીધો વિશવાશ;
કૂડે દગો કાઠીએ કીધો
દોરી દીધો જોગીદાસ !
અરે દગલબાજો ! તમે વિશ્વાસઘાતી બન્યા ! ખુટામણ કર્યું ! જોગીદાસને દોરીને સોંપી દીધો ! – લાગે છે કે જ્યાં જયાં ‘ટ્રાઇબલ લાઈફ’ હશે ત્યાં બધે જ આ ‘ખુટલાઈ’ વધુમાં વધુ ગંભીર ગુનો ગણાતી હશે. ખેર, નવું ટાંચણ-પાનું ઊઘડે છે અને રક્તપાતમાંથી સૌદર્યજનિત તત્ત્વજ્ઞાનમાં લઈ જાય છે.
‘કચ્છમાં જરાર નદી.
લાખો ફુલાણી ત્યાં જેઠ મહિને નીકળ્યા. મેનું સરવડું આવ્યું.
સૌના રેટા, દુશાલા, શાલું ઓઢેલ તે પલળી ગયાં.
નદીકાંઠે તલબાવળાં ઉપર રેટા દુશાલા, શાલું સૌએ સૂકવી.
લાખે જોયું : ‘વાહ, તજારાનો બાગ હોય એવી નદી લાગી છે શોભવા !’
તજારાનો એટલે અફીણના છોડવાનો બાગ. અફીણના ફૂલ લીલા, રાતાં, પીળાં, આસમાની હોય.
સાથીઓને કહે કે ‘જુવાનો. હવે લૂગડું કોઈ લેશો નહિ.’ નદીને એવી રૂડી દેખીને લાખો સૂકવેલાં શાલ રેટા મૂકીને જ સાથીઓ સાથે ચાલી નીકળ્યો.