એના જ શબ્દો છે. મૂળ વાત એમ છે કે ભાવનગરના એક ગામ સાતપડાના છેક પાદરમાં પાલીતાણા રાજની સરહદ પહોંચતી હતી. પાલીતાણાના રાજા પ્રતાપસિંહ કેવળ ચડના માર્યા પોતાનું નવું ગામ સાતપડાના પાદર સુધી બાંધવા આવ્યા. લોકોએ વીનવ્યા કે બાપુ, બે ગામ વચ્ચે જગ્યા જ નહિ રહે તો ઢોર માલ ક્યાં બેસશે ! પાદર જેવું સ્થાન જ નહિ રહે, માટે થોડે છેટે તમારા ગામનાં તોરણ બાંધો. જવાબમાં પ્રતાપસિંહે તુચ્છકાર દીધો. તોરણ બંધાવાની તૈયારી છે. પ્રતાપસિંહ પોતે હાજર થયા છે. સાતપડાનાં લોકો સ્તબ્ધ બની બેઠાં છે. મોટું અનિષ્ટ થઈ જવાને વાર નથી. પણ ગામમાં પ્રતાપસિંહની સામે બોલવાની કોઈની હામ નહોતી. બધા કપાળે હાથ દઈ બેઠા છે. એ વખતે ભીમો નામનો એક આયર–
ભીમો : મોઢે પાંખા પાંખા કાતરા, એકદડિયું ડીલ, કાખમાં તરવાર, હાથમાં હોકો, ચોફાળનું આડસોડિયું ઓઢેલું, ગામમાં તો સગાવળોટે (પરગામથી) આવેલો. એ કહે કે સૌ હાલતા હો તો બોલીશ હું. હાલો સૌ.
હાલ્યો મોઢા આગળ, પ્રતાપસિંહ દરબારને રામરામ કર્યાં.
પછી પોતે કેવો ધીમે ધીમે દરબારને વાત સમજાવતો ગયો, દરબાર પ્રતાપસિંહ કેવા તપતા ગયા, અને સંવાદમાં ભીમાના બોલ કેવા ઉત્તરોત્તર બળ પકડતા ગયા તે દાદાભાઈ ના જ શબ્દોમાં જોઈએ –
‘બાપુ ! આપને આવું તોછડું પેટ જોવે નહિ.’
‘શત્રુંજાના બાદશાહ ! હેડાનીયું આટકે ત્યારે અગની ઝરે.’
‘પછી કોઇને તેડાવ્યાનું વેળુ નહિ રહે.‘
’ભેંસું જ્યારે માદણામાં પડે ત્યારે ડેડકાં ઓવાળે ચડે, ખબર છે ઠાકોર ?’
‘હું તો અસૂર થયું છે ને રાત રહ્યો છું, પણ તમે રે’વા દ્યો.’
તરવાર કાઢી, તાડ જેવડો થયો ને બોલ્યો - ‘જોજો હો, ટોચો પડયો કે કાંડાં ખડ્યાં સમજજો.’
‘દરબાર, ત્યાં જ બેઠા રે’જો. નીકર ઓખાત બગડી જશે. હું તો આયર, મરી જઈશ તો ચપટી ધૂળ ભીંજાશે, અને તમને જો આ (તરવાર) અડશે તો