લાખ તાંસળી ખડખડી પડશે. આ સગી નહિ થાય. અમારું માથું તો ઘરધણી માણસનું, ચાળીનો બોકડો મર્યો તોય શું !’
દરબાર ભળકડે પાલીતાણા ભેગા થઈ ગયા, બે ત્રણ દી’ મેડીમાં જ બેસી રહ્યા, બહાર નીકળે નહિ.
તે પછી દાદાભાઇએ પ્રતાપસિંહજીના મન પર પડેલી ભયમૂર્તિની છાયા વર્ણવામાં પણ એવું જ શિલ્પ-કૌશલ દાખવ્યું છે. દરબારના સાળા સમજાવે છે કે–
ક્યારીએ પધારો. ભોંઠામણ શું છે ?’
‘વાળા ઠાકોર ! માળો એક આયર નરપલાઈ કરી ગ્યો.’
‘હવે સાંજે એના કાતરામાં (મૂછોમાં) ધૂળ ભરશું.’
‘વાળા ઠાકોર, ત્યાં સાતપડે જાવા જેવું નથી. આયર કોબાડ માણસ છે. બહુ વસમો છે.’
‘હવે દોથા જેટલો છે !’
‘વાહ વાળા ઠાકોર ! પણ જાળવો તો ઠીક.’
‘અરે કાતરામાં ધૂળ ભરી દઉં.’
પછી સાતપડા પર ચડેલ પ્રતાપસિંહનો સાળો ભીમાને હાથે માર ખાઈને પાછો વળે છે તે વખતે સાળા બનેવી વચ્ચેનો વાર્તાલાપ પણ દાદાભાઈની રચના છે—
ભાએ દરબારને સલામ કરી.
દરબાર :– ગરાસીઆના પેટનો છો ? નો’તું કહ્યું તને ?
‘પણ શું કરું ? આયર ત્રણ તાડ જેવડો થાય છે - કાઠામાં સમાતો નથી.’
‘તે ન થાય ? નો’તું કહ્યું મેં ? જા, મોઢું દેખાડીશ નહિ.’
અને છેવટે, એક પરગામથી મહેમાન આવેલ આયરે પોતાના ગામની રક્ષા માટે આવું પરાક્રમ કર્યાની જાણ ભાવનગર ઠાકોર વજેસંગજીને થતાં તેમણે ભીમાને શોભતી રીતે ભાવનગર લઈ