છે ને પોતે બોલતો જાય છે: ‘વાહ પાતાળની પદમણી ! વાહ નસૂંઢા (સૂંઢ વિનાના) હાથી. તોળાં વધન્ય લાં. [તારાં વારણાં લઉં.]
એ આનંદમાં ચારણને ભુલાયેલો દુહો યાદ ચડી ગયો. પહોંચ્યો દાતાર પાસે. દુહો સાંભળીને મેઘો મારૂ બોલ્યો : ‘ગઢવા ! આ દુહો તમારો રચેલો નહિ.’
ચારણ સાચું બોલ્યો. ‘દુહો તો ચારણ્યે કહેલો છે.’
‘ગઢવા માગો.’
‘માગું છું એક ભેંસ.’
‘ના, એમ નહિ; વાંભ દ્યો, ને જેટલી ભેંસ આ ખાડુમાંથી ઊભી થાય એટલી તમારી.’
ચારણે વાંભી (સાદ પાડ્યો) ત્યાં તો વીસ ઊભી થઈ. વીસે વીસ દાતારે દઈ દીધી.
ચારણીએ બીજો દુહો રચી મોકલ્યો હતો—
વાદળીઓ વણાર, થાનક થોરડી તણો;
કાલરની કાળા, મેઘડા મેની જીં.
(અર્થ – થોરડીના સ્થાનકમાં હે વણાર આહીર, તું તો વાદળીઓ મેઘ છે, માટે હે કાળા મેઘડા ! તું પણ તારા નામ મુજબ વૃષ્ટિ કર.)
પશુધન : ઊર્મિધન
કાવ્યપ્રશસ્તિનો સાહિત્ય-પ્રકાર તો શતકો જૂનો છે. મહારાજાઓ રીઝતા ને લાખોનાં દાન દેતા. સૌરાષ્ટ્રના નાનકડા માલધારીઓને પણ આ પ્રશસ્તિઓથી પોરસ ચડતો. પશુધનનાં દાન પણ પ્રચલિત હતાં. આ પ્રશસ્તિ, આ પોરસ ને આ દાન, એની વચ્ચેથી આ જીવનનો પ્રધાન સૂર તો એ નીકળે છે, કે પશુધન એ કેવણ પાર્થિવ સંપત્તિ નહોતી, પણ આ નિરિક્ષર અને સંસ્કૃતિથી વેગળાં માનવીઓનું ઉચ્ચ લલિતોર્મિધન હતું. આ પશુધનનાં કાવ્યલાલન વડે એમની લાગણીઓ પુષ્ટ રહેતી ને સંસ્કાર પકડતી. એ ભેંસો કે ઘોડાં સમર્પતા, પણ ફિદા થઈને. એકાદ મેં કરેલો દુહો પણ ભૂલી જનાર ચારણને માટે