પૃષ્ઠ:Parkamma.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મારી મેંદીનો રંગ ઉડી જાય રે !’

*

કરસનજી તેડાં મોકલે રે
રાધા ! મારે મોલે આવ,
રે રાધા ! મારે મોલે આવ.

ઓતર-દખણ ચડી વાદળી રે
ઝીણા ઝરમર મેહ
રે ઝીણા ઝરમર મેહ

જાઉં તો ભીંજાય ચૂંદડી રે
નીકર તૂટે રે સનેહ
રે નીકર તૂટે રે સનેહ

ધોળી ભીંજાય મારી ચૂંદડી રે
મારે રાખવો સનેહ
રે મારે રાખવો સનેહ

ટાંચણમાંનું આ ગીત ૧૯૨૮ નો ભાવનગરમાં લીધેલો બેએક વર્ષનો વસવાટ યાદ કરાવી રહેલ છે. મકાન-માલિક નવું ચણતર કરાવતા હતા, મજૂરણો ચૂનો ખાંડતી ખાંડતી તાલે–સ્વરે ને કાવ્યે આ ચણતર-મસાલાને રસતી હતી. ગવરાવનારી ૪પ વર્ષનું વય વટાવી ગયેલ, અર્ધબોખી હતી. કાળું ફાટલું ઓઢણું યાદ આવે છે. દેહ ઢાંકવા નિરર્થક મથતા સાડલાની માફક જ દેહની ચામડી તરડાયેલી હતી. અનામત હતો ફક્ત એક કંઠ.

‘જાઉં તો ભીંજાય ચુંદડી રે, નીકર તૂટે રે સનેહ !’—સ્નેહ.