પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
પરકમ્મા :
 


સાંકડે રસ્તે એ બે જણાએ ૩૦-૪૦ માથાં કાપી બાકીનાને પાછા કાઢ્યા.

સોલ્જરોએ ફેર (ફાયર) કર્યા, અને વાઘેરોને ચાર ચાર ગોળી વાગી. બેઉ ખલ્લાસ. બેય લાશોને વાઘેરો ઉપર (કિલ્લા પર) લઇ ગયા.

સોના માટે મંદિર-ધ્વંસ

રાત પડી, સોલ્જરોની ફોજે હલ્લો કરી કિલ્લે સીડી માંડી. કિલ્લાના પહેરા પર એક વાઘેર છોકરો. એણે સીડી મંડાયેલી દીઠી, બૂમ પાડી. દેવો માણેક દોડ્યો, એણે ખુરમા પર ચડીને સીડીના બાંયાને ધક્કો દીધો. સીડી પટકાઈ, લેફ્ટીનેન્ટ પડ્યો.

પણ દેવો સીડીને હડસેલવા જતાં એની છાતી દીવાલ બહાર ઊંચી નીકળેલ તેથી ગોળીબારથી વિંધાઈ ગઈ. કિલ્લા પરથી બીજા વાઘેરો પાણા નાખવા મંડ્યા. ( બાપડા ! દારૂગોળાવિહોણા !)

દેવાને અને બીજા બે મુએલા વાઘેરોને કિલ્લા પર ઘી તથા રૂથી દેન દેવાયું. બાકીના વાઘેરે ભાગી છૂટ્યા બાલાપુર તરફ.

ભાટીઆ જેરામ આણંદજી અને રાઘુ શામજી બીકના માર્યા ભંડકમાં પેસી ગયા હતા તે બહાર નીકળ્યા. જુએ તો વાઘેરો ભાગી ગયેલા. બન્ને જણ સાહેબની પાસે ગયા. બન્નેને બાવડે ઝાલીને ઉપાડ્યા. ગોરાએ કિલ્લો સર કર્યો. ત્રણ કલાકમાં મંદિરોની મૂર્તિઓ ઉઠાવી જવાની મહેતલ આપી. પણ દરમ્યાનમાં ગોરાઓને સોનાનો એક લાટો જડ્યો. ગોરા સમજ્યા કે મંદિરમાં સોનું જ ભર્યું હશે ! એટલે દેરાંને સુરંગે ઉડાડ્યાં, દેરાંના ભુક્કા થયા, લૂંટ ચાલી, દારૂ ઢિંચાણા, ચકચૂર થઈ ગોરા નીકળી પડ્યા. રસ્તે જેને દેખે તેને ગોળીઓ મારે, કૂતરાંને પણ.

ગોરો કપ્તાન આવીને દારૂડિયા સોલ્જરોને સોટીએ મારી પાછા લઈ ગયો.