પૃષ્ઠ:Parkamma.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
પરકમ્મા :
 

 આફત ટાણે ઢાલ સમું આડું દેવા થાય, એવું સ્વજન શોધીએ હે માનવી !

ખંડિત ટુકડા

ખંડિત બે ચરણોમાં પણ અર્થવ્યંજનાની કશી કચાશ રહી જતી નથી. ખંડિત છે તેનું પણ કારણ છે. ચૂડ વિજોગણનું નામાચરણ તે છેતરામણું છે. એકાદ બે આવા પદ–નમૂના અસલમાં જે હોય છે, તે હોળીના અગ્નિ સન્મુખ પ્રતિવર્ષ મંડાતી સામસામી કાવ્યરમતમાં રજુ થાય છે. પછી તો એ જ નામાચરણને મોજુદ રાખીને, એકઠા મળેલા ‘દુહાગીરો’ નવીનવી શીઘ્ર રચનાઓ મૂળ નમૂનાના ઘાટ મુજબ કરે જતા હોય છે. એમાં ટુકડા પડે છે. એ ટુકડા કંઠસ્થ થયા તેટલા ખરા, બાકીના લુપ્ત બને છે. ચોટાદાર ચરણોના રણકાર લોકસ્મૃતિમાં ઘર કરી રહે છે.

સંશોધનકાર્યની આત્મકથા

નોંધપોથીના ૬૦–૭૦ પાનાં જ હજુ તો ફેરવી શક્યો છું. કહ્યું છે કે બે ત્રણ હજાર પાનાં હશે બધા મળીને; પાને પાને ફરતાં પાછલાં ૨૦–૨૫ વર્ષમાં ભ્રમણ-પ્રદેશોની પુનર્યાત્રા અનુભવું છું. આજ સુધીનાં પુસ્તકોમાં જેનાં પાંખીઆં નથી મેળવ્યાં તે આ બધા ખંડિત અવશેષોને – ભાઈ ઉમાશંકર કહે છે તેમ એ લોકસાહિત્યની વર્કશોપમાં બાકી પડી રહેલા વેરણછેરણ ટુકડાઓને–આત્મકથાની નવી રીતે ઉપયોગમાં લઉં છું. નવા શોધકોને માર્ગદર્શક થાય કે ન થાય, મારા કસબમાં રસ લેનારી વાચક દુનિયાને તો જરૂર મોજ આવશે. મનમાં જામતા મધપુડાનાં છિદ્રે છિદ્રે મધુનો સંચય જે બિન્દુએ બિન્દુએ બન્યો રહ્યો છે તેનું આ બયાન, એ મારી નહિ પણ લોકસાહિત્યના શોધનની આત્મકથા છે.