વાત મૂળ એમ હશે. કુંભારના ઘર પાસેથી દાયરો નીકળ્યો હશે, ચાકડા પરથી ચલમ ઉતરતી જોઈ કાળુભા નામના ઠાકોરે સોબતીઓને કહ્યું, કે કોઈ શીઘ્રરચના કરી આપે આ વિષય પર ?–પાદપૂર્તિરૂપે અને મુશાયરાઓમાં ગજલ–રચનારૂપે કરી રહ્યા છીએ તે આ ગ્રામ–દાયરામાં પણ સમસ્યારૂપે થયું હતું ને થાય છે. આ કૃતિ જૂની નથી.
વાર્તા ગોતું છું
હમણાં હમણાં એક બાબતનું રટણ ઊપડ્યું છે—
‘ચાલો પૂતળી ! ઘર જાયેં
‘તમે રાંધો અમે ખાયેં.’
રાજા અને પૂતળીની વાર્તા ગોતું છું. જે મળે તેને પૂછું છું – રાજા અને પૂતળીની વાર્તા આવડે છે ? એમાં આવું આવું આવે છે–
‘ચાલો પૂતળી ! ઘરે જાયેં
‘તમે રાંધો અમે ખાયેં’
મેં એ વાર્તા ગુમાવી છે : જેઠા રાવળ પાસેથી કરેલા ટાંચણમાં તૂટક ફક્ત આટલું જ છે—
‘ડિલ પડતું મેલ્યું
‘ચાલો પૂતળી ઘેરે જાયેં’
‘તમે રાંધો અમે ખાયેં.
‘પદમ શેઠની દીકરી હંસાવળી. એની પાની જોઇને પૂતળી ઘડી–
‘મારો રાજા રૂંધાણો છે.
‘નાગનું માથું પરજે પરજાં.
‘મણિ ધોવા વાવમાં ચાલ્યા. ત્યાં તો પાણી ઊતર્યું.’
ઊંડા ઊંડા ભણકારા વાગે છે. રાજપુત્ર જંગલમાં કોઈ વાવની અંદર પાણી પીવા જતાં, ત્યાં ગોખમાં કંડારેલી એક પૂતળી પર ઘેલો બનીને ઝૂરતો હતો. પૂતળીનું સૌંદર્ય મોહક હતું; કારણકે પદમ શેઠની પરદેનશીન પુત્રી હંસાવળીને પગની ફક્ત પાની જોઈને તે