પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શરમાળ પુરુષ:૧૧૩
 

દેખતાં ભજવાવો ન જોઈ. એટલે તે ઊઠીને બહાર જવા લાગ્યો.

'સનાતન ! બેસો ને ! આપણે હમણાં ફરવા જઈશું.' સનાતનને જતો જોઈ કુસુમે કહ્યું. શેઠ મદનલાલને લાગ્યું કે કુસુમને ખરેખર સમજાવવી જ જોઈએ. તેઓ ફરી હસ્યા, અને કુસુમને ખભે હાથ મૂકી સમજાવવા લાગ્યા:

'જો, કુસુમ ! આજે હું અહીં બેસત, તારું વાચન સાંભળત અને આપણે બધાં ફરવા જાત, પરંતુ શું કરું ? જો કોઈ સારો માણસ મળે તો આ બધી જંજાળ જતી કરું. આજે બધી મિલોમાં હડતાલ પડી છે. મજૂરો વધારે પગાર માગે છે. હવે આપણી મિલમાં પણ એ જ તોફાન થવા સંભવ છે. મારે પાછા ત્યાં જવું જ જોઈએ, નહિ તો વાત હાથમાં નહિ રહે. તમારે ફરી આવવું હોય તો બીજી મોટર છે. હું એટલામાં પાછો આવું છું.'

કુસુમ બોલી નહિ. મદનલાલને મિલની ચિંતા હતી, પરંતુ મિલમાં બેકારી ઘટાડવા જતાં તેમના જીવનમાં બેકારી વધી જશે તેનો તેમને ખ્યાલ નહોતો. મિલ ચાલશે તો લાખો રૂપિયાની આમદાની થશે. કુસુમ નહિ બોલે તો શું નુકસાન ? એટલો વખત બચશે. મિલની સાચવણી થશે અને લાખો રૂપિયા જતા અટકશે. કુસુમ આજે નહિ બોલે તો કાલે બોલશે. ફુરસદના વખતમાં તેને મનાવી લેવાશે. બહુ સારા શબ્દો વપરાશે, જરૂર પડ્યે માફી મંગાશે. આવો કાંઈ વ્યવહાર-વિચાર મદનલાલના મનમાં ચાલતો હતો.

પરંતુ આવી બેદરકારીથી બંને હૃદયો કેવા જુદા જુદા પ્રવાહોમાં ખેંચાઈ જાય છે તેની આવા પતિને ખબર પડતી નથી. શરીર સાથે સાથે એક જ સ્થળે હોવા છતાં હૃદયનાં છેટાંનો પાર રહેતો નથી. પ્રત્યેક બેદરકારીએ બંને હૃદયો વધારે અને વધારે છૂટાં પડતાં જાય છે. ધનવાન અને બહુ કામમાં રોકાયેલા ગૃહસ્થોએ પત્નીની દૃષ્ટિનો વિચાર કરવા જેવો છે. જિંદગીની સહજ બેદરકારીનાં પરિણામ અણધાર્યા આવે છે.

અને તેમાં સનાતન સરખા મોહક યુવાન સાથે મૈત્રી થતાં કુસુમ સરખી યુવતીના, મદનલાલના સંસર્ગમાં દબાઈ કચરાઈ રહેલા હૃદયતરંગો મર્યાદા રહિત થઈ ઉછાળા મારે તો તેમાં કોનો દોષ ?

‘ત્યારે જઉ છું.’ કહી મદનલાલે જવા માંડ્યું.

'ઠીક.' કહી કુસુમે પ્રત્યુત્તર આપ્યો.

હવે સનાતન પણ જવા તૈયાર થયો.

'ચાલો, હું તમારી સાથે જ આવું છું. તમારા ઘર આગળ તમને મૂકી દઈશ અને પાછી આવીશ.' કહી કુસુમે મોટર મંગાવી.