પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
લક્ષ્મીની ચોકી

તો ય ધોધ કેરે ધમક જગત ધમધમે રે લોલ.
મને આંસુનાં એમ અનુકમ્પ ગમે રે લોલ !
નાનાલાલ

'તને કેમ ગમતું નથી ? તું બધાં સાથે વાત કર. મારી સાથે ફરવા ચાલ. મન હોય તે ઘરેણાંલૂગડાં પહેર, ઘરમાં હારમોનિયમ છે તે વગાડ. તને તો સારું આવડે છે ! શા માટે આમ આખોય દિવસ ઉદાસ રહે છે ?'

અણગમતું મટાડવાના વ્યોમેશચંદ્ર ઇલાજો બતાવ્યા, પરંતુ મંજરીને એકે ઇલાજ ગમ્યો હોય એમ જણાયું નહિ. તેણે એકે માગણી કરી નહિ.

પત્ની અણમાનીતી હોય તેનો પતિ ઇલાજ કરી શકે. પરંતુ પતિ જ અણમાનીતો હોય તો પતિએ કે પત્નીએ શું કરવું તેનો ઈલાજ શાસ્ત્રોએ કે ચાતુર્યે સૂચવ્યો જણાતો નથી. વ્યોમેશચંદ્રને લાગ્યું કે આટલી વિનવણી પછી મંજરીને એકલી મૂકવી એ જ વધારે સારું છે. તેમની આશા અમર હતી. ફરી પ્રયત્ન કરી મંજરીને મનાવી શકાશે એવી આશામાં તેઓ ઊઠતા હતા, એટલામાં તેમની નાની પુત્રી વેલી બૂમ પાડતી દોડતી દોડતી આવી.

'જુઓ ને મંજરીબહેન ! મને ભાઈ મારવા આવે છે !'

આટલું બોલી તે મંજરીની પાસે ભરાઈ ગઈ. તેને મંજરી પારકી લાગતી નહોતી. મંજરી પણ ઘરમાં માત્ર વેલીની જ સાથે બોલતી અને હસતી. ક્વચિત બીજાં બાળકો સાથે પણ બોલતી અને રમતી. પરંતુ બાળકો સિવાય અન્ય સર્વ તેને મન વર્જ્ય હતાં.

મંજરીએ વેલીને પાસામાં લઈ લીધી, વ્યોમેશચંદ્રે આ દ્રશ્ય પહેલી જ વાર જોયું, આનંદ અને આશ્ચર્યની લાગણીમાંથી તેમની આશાએ એક અવનવી ફાળ ભરી:

'મારાં બાળકો તરફ તો આટલો ભાવ છે ! શા માટે એમ માનવું કે એને મારા તરફ ભાવ નથી ?'

તેમના માનસિક વ્યાપારે તેમના દેહમાં ફૂર્તિ આણી. આશામાં ને