પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લક્ષ્મીની ચોકીઃ ૧૨૯
 

આવે :

'એ લગ્ન ખરું ન હોય તો તે લગ્ન જ અનીતિ રૂપ નથી ?'

લગ્ન ઉપર જ સમાજે નીતિની મહોર છાપ મારી છે. સ્ત્રીપુરુષનો સંબંધ લગ્ન વગર અપવિત્ર, અનીતિમય બની જાય છે. પ્રત્યેક બાળક-બાળકી આ જ માન્યતામાં ઊછરે છે. લગ્ન અનીતિ રૂપ હોય એવી તેને કલ્પના પણ આવવી મુશ્કેલ છે. છતાં મંજરીથી એ વિચાર થઈ ગયો એટલું જ નહિ, તેથીયે વધારે ભયંકર વિચાર તેના હૃદયમાં ઝબકી ઊઠ્યો :

‘એવાં લગ્ન તૂટી જાય તો....'

એ વિચારની ભયંકરતાએ તેને થથરાવી મૂકી. લગ્નવિચ્છેદ એ કુલીનતાનો વિરોધીવિચાર. એ વિચારનો પડછાયો સુધ્ધાં ઉચ્ચ સમાજમાં પડવો ન જોઈએ. મંજરી ગભરાઈ ગઈ.

'હું જ મરી જાઉં તો કેવું સારું?'

નિષ્ફળ લગ્નને પરિણામે પુરુષ મરવા ઇચ્છતો નથી. પરંતુ સ્ત્રીને તો મરવું કે અણગમતું લગ્ન સ્વીકારી લેવું એના વિના બીજો કયો માર્ગ છે?