પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
મજૂરો

નથી તકસીર તારી એ
ગુનેહગારી હમારી છે.
કલાપી

સનાતનને કુસુમે ઘેર પહોંચાડ્યો. લાંબે રસ્તેથી ફરતાં ફરતાં મોટર સનાતનના ઘર આગળ આવી ત્યારે લગભગ અંધારું થયું હતું. ગરીબોથી ધનિકને આમંત્રણ આપી શકાતું નથી. સનાતનને ઘણીયે ઈચ્છા થઈ કે પોતાના ઉપર સદ્ભાવ રાખી ઘર સુધી પહોંચાડી જનાર યુવતીને ઘેર બોલાવી તેનો સત્કાર કરવો જોઈ. પરંતુ એવી સાંકડી ગલીમાં - કુસુમનું એક ચંપલ પણ ન માય એવી ઓરડીમાં તે આખી કુસુમને કેવી રીતે લઈ જઈ શકે ?

'કુસુમબહેન ! આપે બહુ તકલીફ લીધી.' સનાતને ઉપકાર માન્યો.

'ઓહો ! એમાં શું ? હું તો હવે રોજ તમને અહીં મૂકી જઈશ. સાંજે ફરવા નીકળાશે, અને તમને જવામાં સુગમતા થશે.' કસુમ ગળે પડી.

સનાતનને આ નિત્યનો ઉપકાર રચ્યો નહિ. છતાં એ ઉપકાર નિત્યનો થયે જોઈ લેવાશે એમ માની તે કશું બોલ્યો નહિ. કુસુમે પાછું જોઈ 'આવજો' કહેવાના ભાવને વ્યક્ત કરતો હાથનો અભિનય કર્યો અને મોટર જોતજોતામાં ચાલી ગઈ. યુવાન સ્ત્રીપુરુષોનો સંસર્ગ પૂર્વયુગની માફક આ યુગમાં પણ ભયંકર જ છે એમ તેને લાગ્યું. શિષ્યા અને શિક્ષકની પ્રથા આ યુગમાં પ્રચાર પામતી ચાલી છે. શિષ્યા કે શિક્ષક બેમાંથી એકે ઘણા વૃદ્ધ હોવું જોઈએ એમ તેને વિચાર આવ્યો. યૌવન ભરોંસાપાત્ર હોતું નથી. તેમાં બે યૌવનો ભેગાં મળે ત્યારે જગતની દ્રષ્ટિએ વિપરીત લાગતા પ્રસંગો બનવા સંભવ છે એમ માની પોતાના હૃદયને દ્રઢ બનાવતા સનાતને ઓરડી ઉઘાડી દીવો સળગાવ્યો.

'કાં માસ્તર ! શું ચાલે છે ?' એક પડોશીએ તે જ વખતે ઓરડીના બારણા આગળ આવી પૂછ્યું.