પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : પત્રલાલસા
 

જોઈએ શું?

અલબત્ત, એજન્ટોને મિલના પૈસામાંથી બંગલા અને બગીચા જોઈએ, મોટરો અને ટેનિસ-કોર્ટ જોઈએ, વંશપરંપરાની મિલમાલિકી તથા સગાંવહાલાં ને મિત્રમંડળને ભારે પગારની જગાઓ તથા દલાલીઓ આપવાની સ્વતંત્રતા જોઈએ, મિલને પૈસે બીજા અનેક ખાનગી સટ્ટા તથા ધંધા રમવાની, તેમાં આવતી ખોટ મિલને નામે લખી નફો મળે તો ખાનગી ખજાનામાં મૂકવાની છૂટ જોઈએ; મિલમાંથી મેળવેલા પૈસા બાપ, ભાઈ, પુત્ર કે બૈરીને નામે મિલને જ ધિરાવી મિલ ઉપર પોતાની ચૂડ મજબૂત અને મજબૂત કરવાની સત્તા જાઈએ; અને મિલ ખોટમાં આવી બંધ થાય તો પોતાની જાતને – પોતાના કુટુંબને સુખચેનમાં રાખવાની તથા બીજી મિલો કાઢવાની સગવડ જોઈએ.

પરંતુ તેમાં મજૂરોને શું ? તેમના દેહને દળી મિલમાંથી માલ પેદા કરવામાં આવતો હોય તો તેમને પગાર મળે જ છે. તેમને ક્યાં બુદ્ધિ વાપરવાની છે ? બુદ્ધિ તો માત્ર મિલના સંચાલકો અને માલિકોને જ વાપરવાની છે. મજૂરોના નિત્ય મરતા દેહને બુદ્ધિ વાપરવાનો જીવનભરમાં અવકાશ નથી મળતો એમાં દોષ તેમના નસીબનો ! બુદ્ધિને જ વધારે પૈસા મળે.

અને મજૂરોને આપવાના પૈસા પણ માલિકોના જ હોય છે ને ! હિંદની વસતિની માફક ધનાઢ્યોના ધનમાં તીવ્ર ઉત્પાદકશક્તિ હોય છે. હજારના દસ હજાર અને લાખના દસ લાખ ધનાઢ્યો બહુ ઝડપથી કરી શકે છે. અલબત્ત, જાદુઈ ચીજોની માફક એ ધનના હિમાલયો સિફતથી ઓગળી પણ જાય છે. પણ એ બધી બુદ્ધિની રમતમાં મજૂરોનું સ્થાન હોવું ન જોઈએ. મજૂરાનું સ્થાન, મજૂરીમાં અને મજૂરીમાંથી મરવામાં.

માત્ર એ મિલમુખત્યાર - કે માલિક એક જ વાત ભૂલી જાય છે, કોઈ મજૂરની બુદ્ધિ જીવતી રહે અને માલિકને પૂછે કે 'મજૂરોની મહેનત કાઢી લો અને તમારો પૈસો અને બુદ્ધિ વાપરો. માલ પેદા થઈ શકશે ?' તે વખતે કયો જવાબ આપવો એ મુખત્યારની બુદ્ધિને સૂઝે એમ નથી. કોઈને પણ સૂઝે એમ નથી. કારણ, ખરી ઉત્પાદક શક્તિ મજૂરીમાં છે, મૂડીમાં નહિ. મજૂરીના બાળ તરીકે જન્મેલો પૈસો મજૂરીનો માલિક બની બેઠો છે એ મજૂરો જ્યારે સમજશે ત્યારે મજૂરોને પૈસાની માલિકી, મુખત્યારોની નહિ પણ પોતાની સમજાશે. મિલનો નફો મૂડીનો નહિ - બુદ્ધિ માત્રનો નહિ - તે તો ખરેખર મજૂરોનો છે.

મજૂરોમાં ઉત્પન્ન થયેલી એ ઝાંખી સમજણ પૂરતા ઉપયોગમાં