પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ : પત્રલાલસા
 

સનાતને કહ્યું.

કુસુમ બોલી :

'ખરું છે. પૈસા અને મજૂરી એ બે મળે ત્યારે કામ ચાલે. અને નફો તો એકલા પૈસાની પાછળ જાય એ કેમ બને ?'

શેઠ જરા વિચાર કરી બોલ્યા :

‘પણ બુદ્ધિ તો અમારી ને ! બુદ્ધિ ન હોય તો પૈસો અને મજૂરી બંને વ્યર્થ છે.'

સનાતને જવાબ આપ્યો :

'શેઠસાહેબ ! મને માફ કરજો. પણ સામાન્ય બુદ્ધિ જુદી અને મિલ માટે જરૂરની વિશિષ્ટ બુદ્ધિ જુદી. એ બુદ્ધિ મજૂરીની મફક આપ વેચાતી રાખો છો. આપના એજન્ટો, મેનેજરો, આડતિયા, દલાલ, ગુમાસ્તા એ બધાને આપ વેચાણ કે નફા ઉપર ભાગ આપો છો. આપે મજૂરી, પૈસો અને નિષ્ણાત બુદ્ધિ ભેગાં કરી ધંધો ચલાવ્યો એ આપની બુદ્ધિ ખરી. અને તેટલા પૂરતી આપની કિંમત ભારે ગણીએ. પરંતુ એ ત્રણ વગર ચાલે એમ નથી. તો પછી મજૂરી, પૈસો અને બુદ્ધિ એ ત્રણેને નફામાં તેમ જ ખોટમાં ભાગીદાર બનાવો.'

‘પણ એથી કાંઈ મજૂરોને લાભ ?' મદનલાલે પૂછ્યું.

'અલબત્ત ! દરેક જણ ભાડૂત મટી માલિક બનશે, અને નફાતોટામાં વધારે જીવ રાખશે. નફો આવે તો ત્રણે ભાગે વહેંચો, ખોટ આવે તો કોની ભૂલથી ખોટ આવી તેનો નિર્ણય કરો, અને તેની જવાબદારી નક્કી કરો. પૈસાની ભૂલથી ખોટ આવી હોય તો એ ખોટ પૈસાએ પૂરી પાડવી. મજૂરીએ ભૂલ કરી હોય તો મજૂરી ખોટ ભરી આપે, અને બુદ્ધિનો વાંક હોય તો બુદ્ધિએ ખોટ ખમવી : વાંક કોઈનો પણ ન હોય તો ખોટ સરખે ભાગે વહેંચવી.' સનાતને કહ્યું.

છેવટે મદનલાલના મનમાં નફો અને ખોટ વહેંચી લેવાનો સિદ્ધાન્ત કાંઈક રુચ્યો. તેમણે કહ્યું :

'તમે મારા મેનેજરને મળી બધી વિગતો નક્કી કરો. હું તેમને અહીં બોલાવું છું.' એટલામાં મિસ્ત્રી આવ્યા અને શેઠને સલામ કરી ઊભા.

'કેમ મિસ્ત્રી ! હડતાલનું કેમ છે ?' શેઠે પૂછ્યું.

'સાહેબ ! આ તો રોગચાળો ચાલ્યો છે. એક મિલે હડતાલ પાડી એટલે બીજી મિલે પાડી. શું કરીએ ? આજકાલના છોકરાઓ હાથમાં રહેતા જ નથી.'