પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : પત્રલાલસા
 

લઈ શકું. એ તો વગર મહેનતના - ખોટા પૈસા ગણાય.'

મદનલાલ ખડખડ હસ્યા અને બોલ્યા :

'અરે ! તમે તો તદ્દન ભલા માણસ છો ! આ તો હું તમને કશું જ આપતો નથી. બીજા કોઈ પંચ કે લવાદ નીમ્યા હોત. તો તેમની પાછળ કેટલું ખર્ચ કરવું પડત તેનો તમને ખ્યાલ નથી. વળી બીજે બધે હડતાલ છે અને હું બચી ગયો એમાં મને કેટલો નફો થયો તે જાણો છો ?'

'પણ, શેઠસાહેબ ! મહેનતના પ્રમાણમાં બદલો હોય. મને આમાં કેટલી મહેનત પડી છે તે હું જાણું ને ! આટલી બધી રકમ લેવી મને તો અન્યાયરૂપ લાગે છે.'

મદનલાલ અને કુસુમ આ વેદિયાપણું નિહાળી પરસ્પરની સામે જોઈ રહ્યાં. ઈનામ લેનારા ઘણા મળે છે, ઈનામની ના કહેનારા શોધ્યા જડતા નથી. સહજ હસીને કુસુમ બોલી :

'આ તે કેવા વિચિત્ર માણસ છે !'

મદનલાલે કુસુમનો ઉદ્દગાર ધ્યાનથી સાંભળ્યો, અને ધ્યાનથી કુસુમના મુખભાવ નિહાળ્યા. હસતે હસતે તેઓ બોલ્યા :

'અને હજી તો તમારી પાસેથી બીજાં કામ લેવાં છે, સમજ્યા ?'

'આપ તે કહો. ખુશીથી કરીશ.' સનાતન બોલ્યો.

'પણ જ્યાં સુધી તમે આ ઈનામ ન લ્યો ત્યાં સુધી હું તમને કશું કામ સોંપીશ નહિ. જુઓ, અમારા ધંધામાં વખત ઉપર આવા પૈસાનો હિસાબ હોય જ નહિ. કુસુમ ! તું આપ જોઈએ ? તારે હાથે લેશે.' મદનલાલે કહ્યું.

મદનલાલ ભલે ઘણું ભણ્યા ન હોય; વ્યાપારની આંટીઘૂંટી અને અનુભવે તેમનામાં એક પ્રકારની હોશિયારી આણી દીધી હતી. તેમને અમુક રીતના દાવપેચ રમતાં આવડી ગયું હતું.

મદનલાલનો મર્મ કુસુમ સમજી ન હતી. નાના મેજ ઉપર મૂકી દીધેલો ચૅક કુસુમે હાથમાં લીધો, અને સનાતનના હાથમાં તે જોરથી મૂકતાં બોલી : .

'મારા સોગન જે ન લે તેને !'

સનાતનથી કુસુમના હાથને તરછોડ્યો નહિ. ઝડપથી બે-ત્રણ વખત આંખો મટમટાવી મદનલાલ બોલ્યા :

'ઠીક કર્યું. હવે હું તમને એક ખાસ કામ સોંપું છું. તમે ફતેહમંદ થશો તો તેમાં તમારું નસીબ પણ ખીલી નીકળશે.'

સનાતન અને કુસુમ આવા નસીબ ખીલવનારા કાર્યની હકીકત