પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ઃ પત્રલાલસા
 

'શા ઉપરથી જાણ્યું ?'

'ચહા આપવા નોકર તેમના ઓરડામાં ગયો. ત્યાં ન મળ્યા એટલે આખું ઘર બધા ખોળી વળ્યા પણ જડતા નથી.'

મંજરી શાંત બેસી રહી. તેની આંખ સખ્ત બની ગઈ. વ્યોમેશચંદ્રે ફરી આખું ઘર ખોળાવ્યું, સનાતનનો પત્તો લાગ્યો નહિ. કલાક, બે કલાક, ત્રણ કલાક રાહ જોયા છતાં સનાતન દેખાયો નહિ, એટલે વ્યોમેશચંદ્રે મુંબઈ તાર કરી મદનલાલને ખબર આપી.

મદનલાલ અને કુસુમ બંનેને નવાઈ લાગી. બંનેએ ખૂબ તપાસ ચારે બાજુએ કરાવી, પરંતુ સનાતન મળ્યો નહિ. માત્ર ત્રીજે દિવસે મદનલાલે ટપાલ ઉઘાડી તો તેમાંથી એક દસ હજારનો ચેક નીકળી આવ્યો. એ સનાતનને આપેલો ચેક હતો.

વ્યોમેશચંદ્રને મદનલાલે પત્રથી જણાવ્યું કે સનાતન મળી આવ્યો નહોતો.

મંજરીએ તે પત્ર સાંભળ્યો. પૂતળીની માફક ક્ષણભર જડ બની ગયેલી મંજરી ઝડપથી વ્યોમેશચંદ્રને પાટો બાંધવા લાગી.