પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોનો મેળાપઃ ૧૧
 

રીતભાત આવડતી જ નથી.

ચિતરંજનને હસતો જોઈ દીનાનાથને પૂર્વની વાત યાદ આવી. જ્યારે જ્યારે આ ગીત કોઈ ગાતું ત્યારે ચિતરંજન સખત વાંધો જાહેર કરતો. દીનાનાથે કહ્યું : 'મંજરી ! આ નહિ; બીજું કોઈ ગીત ગા. ચિતરંજનને આ ગીત નથી ગમતું.'

સનાતનથી રહેવાયું નહિ. 'હું નથી સમજી શકતો કે આ ગીત કેમ નહિ ગમતું હોય. આથી વધારે મધુર ગીત બીજું મળવું દુર્લભ છે.'

'આ જ તમારું ભણતર.' ચિતરંજને કહ્યું. 'હજી તો ઊગો છો અને એટલામાં અંત સમયે અલબેલાનાં દર્શન કરવાની લાલસા થઈ આવી ? અંત સમય આવશે ત્યારે આ ગીત ગાઈશું. હમણાં તો કાંઈ ઊછળતું, ઉત્સાહ પ્રેરતું ગીત સાંભળવું જોઈએ. મંજરી ! એવું કાંઈક ગા.'

મંજરીએ બીજું ગીત શરૂ કર્યું :

પરમ ધન પ્રભુનાં લેજો. લોક !
રૂપ ધન, ધન સોનું
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક !

સ્વરમાધુર્યથી સહુ મુગ્ધ બન્યા. સાધુતાનું વાતાવરણ જાણે બંધાયું હોય એમ સર્વનાં મન સાત્ત્વિક થઈ ગયાં. ચિતરંજન પોતાનું ડોકું આમતેમ હલાવી પોતાના સ્વભાવની નિરંકુશતા સાથે ગાન તરફ પસંદગી બતાવતો હતો.

નીચેથી કોઈએ બૂમ પાડી: ‘મંજરીબહેન ! હું ઉપર આવું?'

અવાજ સાંભળી મંજરીના મુખ ઉપર ભય જણાયો. ચિતરંજને તે પારખ્યો. દીનાનાથે પૂછ્યું : 'અત્યારે તને બોલાવતું કોણ આવ્યું ?'

'કોઈ નહિ એ તો. હું હમણાં મળી આવું છું.' કહી ભયના નિવારણ અર્થે મંજરી નીચે જવા લાગી. એટલામાં જ એક અપરિચિત મનુષ્ય ઉપર ચઢી આવ્યો.

મંજરીનું મોં તદ્દન પડી ગયું. ચિતરંજન આ મૂંઝવણ પારખી ગયો પણ તેનું કારણ ન જડ્યું. દીનાનાથે પૂછ્યું: ‘કોનું કામ છે ?'

‘મારે મંજરીબહેનનું કામ છે.' તેણે જવાબ આપ્યો.

‘તમને બીજો કોઈ વખત ન મળ્યો તે આમ સંધ્યાકાળે મંજરીને