પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬: પત્રલાલસા
 


'ભૂલવાની વાત મુશ્કેલ નથી ?'

'અલબત્ત, ઘણી જ મુશ્કેલ. પરંતુ મુશ્કેલીને ઠોકર મારે તે યુવક; મુશ્કેલીની ઠોકરે ચડી રડતો બેસે એ નામર્દ. પછી એ મુશ્કેલી ધનવિષયક હોય કે પ્રેમવિષયક હોય.'

સનાતનને ચિતરંજને એક માર્ગ બતાવ્યો. વાચન, ચિન્તન અને કાર્ય. એમાં દુઃખને ઓગાળી નાખવાની શક્તિ રહેલી દેખાડી. વળી રફીક અને બુલબુલનું દ્રષ્ટાંત તેની આગળ મૂકી એવા ભગ્ન જીવનની સેવામાં પોતાના જીવન અવશેષને ગાળવાથી પ્રેમસિદ્ધિ કરતાં પણ વધારે મહાન સિદ્ધિ મેળવવાની તેનામાં આશા ઉપજાવી.

સાધુપણું આર્યજીવનનો અંશ છે. ફકીરી એ પૌર્વાત્ય પ્રજાનો પ્રિયધર્મ છે. પશ્ચાત્તાપમાં પડેલા રફીક અને અંધ બુલબુલની સોબતમાં નદીકિનારાનું એકાંત સેવી, ભગ્નપ્રેમી સનાતને વિરાગ કેળવવો શરૂ કર્યો.

જગતમાંથી તે લગભગ અદ્રશ્ય બની ગયો. મંજરીના જીવનની બહાર કુસુમના જીવનની બહાર નીકળી જઈ તે બંને યુવતીઓને સુખી થવાની તક આપતો હતો. તેને કલ્પના પણ ન હતી કે અણધાર્યા સંજોગોમાં એ જ બંને યુવતીઓ તેની જ મહેમાન બનશે. અને મંજરીએ પ્રેમમાં પોતાના દેહને ઓગાળી દીધો હતો તેનું ખરું ભાન સનાતનને નદીકિનારે જ થયું. મંજરીને પોતાની સાથે નાસી આવવા દીધી હોત તો તેનો દેહ આમ ઘસાત ખરો ?

મોડી રાત સુધી તે નદીની કરાડ ઉપર બેસી રહ્યો. વંટોળિયો અને વરસાદ બંને અદ્રશ્ય થયાં હતાં. પરંતુ એ કુદરતનો વંટોળિયો સનાતનના હૃદયમાં પ્રવેશ પામ્યો હતો. રફીક તેને રાતમાં બોલાવવા આવ્યો ન હોત તો તે ભાગ્યે પોતાની ઝૂંપડીમાં જાત.

'રફીક ! બધાં મહેમાનો જમ્યાં ?' ઝૂંપડીમાં આવી સનાતને પૂછ્યું.

'હા. સગવડ થઈ ગઈ, બહેનો તો કાંઈ જમી નહિ.' રફીકે જણાવ્યું.

સ્ત્રીઓના વેચાણમાંથી ગુજરાન મેળવતો એ ગુંડો પવિત્ર નિઝામી મુસ્લિમ બની ગયો હતો. માનવીની સદ્દગતિ સર્વદા શક્ય છે. પાપીને તરછોડવાની જરાય જરૂર નથી. પાપીને તરછોડનાર જાતે જ પાપી બને છે.

'બધાંને સુવાડ્યાં ?' સનાતને પૂછ્યું.

'હા જી. ધર્મશાળા મોટી છે. ગોદડાંની પણ પૂરી સગવડ છે.'

પ્રભાતમાં બુલબુલની ભૈરવીએ સહુને જાગ્રત કર્યા :