પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પડછાયા: ૧૯૭
 


દયાધન ! પાર ઉતારો નાવ !
આંધી ચડી જલ મારે ઉછાળા;
ભૂલ્યો સુકાની દાવ ! - દયાધન.
સૂરજ અસ્ત ! શશી તારાગણ
અંધારે ગરકાવ ! - દયાધન.
નીર તીર બની એક ગૂંથાયાં !
કરવી કોને રાવ ? - દયાધન.
સઢ તૂટ્યા, ખોવાય હલેસાં
મારગ નાથ બતાવ ! - દયાધન.
પાપભાર જરી હળવો કરીને
ડૂબતી નાવ બચાવ ! - દયાધન.

ધર્મશાળા સનાતનની ઝૂંપડીની જોડમાં જ હતી, ધર્મશાળામાં જવું કે ન જવું તેના સંકલ્પવિકલ્પમાં પડેલા સનાતનને ધર્મશાળામાંથી વ્યોમેશચંદ્રે જ બોલાવ્યો. અનિચ્છાએ સનાતન ત્યાં ગયો. માંદી મંજરી એક ખાટલામાં સૂતી હતી. તેનો દેહ એવો કૃશ બની ગયો હતો કે ખાટલો ખાલી ખાલી લાગતો હતો. છતાં મંજરીના મુખ ઉપર રોગભરી ખૂબસૂરત લાલાશ અને તેની ચપળ ચમકતી કાળી આંખો તેને હજી આકર્ષક બનાવી રહી હતી.

'મંજરી તમને યાદ કરે છે.' વ્યોમેશચંદ્રે સનાતનને કહ્યું.

સનાતનના હદયમાં ધ્રાસ્કો પડ્યો. મંજરીની આવી સ્થિતિ ? ભોગ સનાતને આપ્યો, કે મંજરીએ ? ભૂલવા મથતો સનાતન પ્રેમી ? કે તેને ન ભૂલેલી મંજરી પ્રેમી ?

આંખને ઇશારે મંજરીએ સનાતનને પાસે બોલાવ્યો. માંદગીમાં મર્યાદાની કોઈ આશા રાખતું નથી. જોવા આવનાર બધાં જ જ્વરગ્રસ્તને ગમે છે. સનાતન ખાટલા આગળ જઈ ઊભો.

'બેસો ને ?' કુસુમે કહ્યું.

સનાતન ખાટલા નીચે બેસી ગયો. મંજરી તેના સામે જોયા કરતી હતી.

'કેમ આવું શરીર કરી નાખ્યું ?' સનાતને મંજરીને પૂછ્યું.

'હોય. દેહ છે.' મંજરીએ ધીમેથી કહ્યું. તેનાથી બળપૂર્વક બોલાતું પણ ન હતું.

'મટી જશે એ તો.' સનાતને આશ્વાસન આપ્યું.

દર્દી અસાધ્ય રોગને પારખી જાય છે. લાંબા પરિચયથી મૃત્યુનો ભય