પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાનદાની

ચિતરંજને જોયું કે આમાં ગેરસમજ થાય છે. મંજરીનું વિકળ થતું મુખ અને નવીન આવનાર માણસને થતું આશ્ચર્ય એ બે ઉપરથી તે કળી શક્યો કે દીનાનાથને આમાં ગુસ્સે થવાનું કારણ રહેશે નહિ. આથી તે પોતે જ વાતમાં ઊતરી પડ્યો.

'શી બાબતમાં પૈસા આપવાના છે? ઉછીના લઈ ગયા હશો ?'

'ના ના, એ તો મને કેટલીક કોર અને ટોપીઓ ભરી આપી હતી તેના આપવાના છે.' તેણે જવાબ આપ્યો.

દીનાનાથનું મોં પડી ગયું, તેનો ગુસ્સો જતો રહ્યો, પરંતુ તેને સ્થાને મુખ ઉપર વિષાદ ફેલાયો. જાગીરદારની છોકરીને લોકોની કોરો અને ટોપીઓ ભરવા સમય આવ્યો ?

સનાતન સ્તબ્ધ થઈ ગયો. શું આ બાળા કુટુંબનું પોષણ કરવામાં સહાયભૂત થાય છે ? અલૌકિક !

ચિતરંજન દીનાનાથની ચિંતા પારખી શક્યો. એકદમ તે હસી પડ્યો. 'મંજરીએ તો પેલી જર્મનીની ઉમરાવજાદી જેવું કરવા માંડ્યું છે. બડી જિદ્દી છોકરી ! બાપની લાખો રૂપિયાની મિલકત છતાં પોતાનું ભરતશીવણનું કામ દુકાનદારોને વેચી તેના પૈસા બાપને આપે. બર્લિનની એક દુકાનમાં હું ગયો ત્યાં તે બેઠેલી, અને દુકાનદાર જોડે ભાવની તકરાર કરતી જોઈ. પછી તો મારે એની સાથે ઓળખાણ થયું. હજી પણ કાગળો લખે છે.'

‘સાથે ન આવી એટલું સારું થયું !' દીનાનાથે મજાકમાં કહ્યું.

'સાથે તો ઘણીયે આવે, પણ એ પીડા સંઘરે કોણ ?' ચિતરંજને જવાબ આપ્યો. 'મંજરી ! લઈ લે તારા પૈસા. એ ભાઈને ખોટી ન કરીશ.'

સનાતને પણ રાત પડવાથી રજા માગી. મંજરી તેના હૃદયમાં ખટકવા લાગી.

કેવી અનુપમ બાલા ! સુંદર સ્વરૂપ; આટલી બધી આવડત, અને ઉમદા હૃદય ! પોતાના ગરીબ થઈ ગયેલા પિતાને જાતમહેનત કરીને પણ