પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાનદાનીઃ ૧૫
 

ઉપર આવતો હતો ?

'અગાસીમાં કોણ ફરે છે ?' જોડેના મકાનની એક જાળી અગાસીમાં પડતી હતી. એ જાળીમાંથી કોઈએ અવાજ દીધો.

'કોઈ નહિ, એ તો હું છું. ભાઈ સનાતન ! વાંચવાની તૈયારી ચાલે છે કે ?' દીનાનાથના ભયંકર વિચારો ઓસરી ગયા, એકાંત મટી ગયું, અને તેની લાગણીઓએ સ્થિરતા ધારણ કરવા માંડી. સનાતન અભ્યાસ કરવા માટે અત્યારે જાગી ગયો હતો. તેણે દીનાનાથને આમ ફરતો જોઈ પ્રશ્ન કર્યો, અને તેનો જવાબ મળ્યો.

'જી હા, પરીક્ષા પાસે આવી છે એટલે સહજ મહેનત કરવી પડે છે.' આમ કહી તે ઘરમાં ગયો.

દીનાનાથને શરમ આવી. પોતે આવા વિચારોને વશ થયો એ તેને યોગ્ય ન લાગ્યું. તેની મરદાઈને ધક્કો લાગ્યા જેવો ભાસ થયો અને તે ઘરમાં જ જવા પાછો ફર્યો.

પાછા ફરતાં જ તેણે નંદકુંવરને પોતાની પાસે ઊભેલાં જોયાં. તે ચમક્યો. શું તે એકલો નહોતો ? પોતાની પત્નીએ પોતાના વિચારો પારખ્યા હશે શું ?

'આજે જાગરણ કરવું છે કે?’ નંદકુંવરે પૂછ્યું.

‘કેમ ?' દીનાનાથે કહ્યું.

'કેમ શું ? આજે તો સૂતા જ નથી ને ! હવે ઉજાગરા કરવા જેવી ઉંમર નથી !' નંદકુંવરે જવાબ આપ્યો.

પત્નીની સાચવણીમાંથી તે બચ્યો ન હતો એમ એને હવે જણાયું. તે એકલો જ જાગ્યો હતો એમ નહિ, તેની પત્ની પણ તેની જોડે જ જાગતી હતી એમ હવે તેને ભાસ થયો.

આર્યપત્નીઓ પતિની સંભાળ લેવામાં જ પોતાનું કર્તવ્ય સમાપ્ત થયું ગણે છે, પરંતુ તે એવી ગુપ્ત રીતે, એવી સરળ રીતે કરે છે કે પતિને તેનું ભાન પણ હોતું નથી.

'આજે કેમ એકદમ આમ ચિંતા થઈ આવી છે ?' નંદકુંવરે આગળ પૂછ્યું.

'કાંઈ નહિ. મંજરીનો હવે વિવાહ કરવો પડશે, મોટી થઈ. સહેજ એના વિચારે ચઢી ગયો એટલે ઊંઘ ન આવી.' દીનાનાથે જવાબ આપ્યો.

'એ ચિંતા આજની નથી, હું જાણું છું તમને શાની વ્યગ્રતા થઈ આવી છે તે.’ નંદકુંવરે કહ્યું.