પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦: પત્રલાલસા
 


લક્ષ્મી હસી. તેના હાસ્ય પાછળ શું હતું?

'પીઈ જાઓ ને?' હસીને તેણે કહ્યું.

વ્યોમેશચંદ્રને થયું કે આ બાઈને ધક્કો મારી બહાર કાઢવી જોઈએ; પરંતુ તેઓ ઘણા સારા માણસ હતા, અને સારા માણસોનાં અંતઃકરણ ખરાબ માણસો કરતાં વધારે મૃદુ હોય છે. તેઓ પોતાના વિચારને અમલમાં મૂકી શકે એમ નહોતું.

દૂધ પી રહીને પ્યાલો લક્ષ્મીના હાથમાં પાછો મૂક્યો. લક્ષ્મીએ જવાની ઉતાવળ બતાવી નહિ. પ્યાલો તેણે ભોંય ઉપર મૂક્યો, અને અતિશય મૃદુતાથી વ્યોમેશને પૂછ્યું :

'સહજ માથું દબાવું ?'

તેમને કદી નહિ લાગ્યો હોય એવો ડર લક્ષ્મીને જોતાં હવે લાગ્યો. તેમના હૃદયમાં થતું મહાભારત યુદ્ધ તેમનાથી ખમાયું નહિ. લક્ષ્મીને હા પણ પાડી ન શક્યા અને ના પણ પાડી ન શક્યા. લક્ષ્મીએ આગળ વધી કપાળ ઉપર હાથ ફેરવ્યો અને જાગીરદારનું હૃદય પીગળી વહી ગયું.

અચાનક પાસેની ઓરડીમાંથી બાળક રડી ઊઠ્યું. જાગીરદારે ચમકીને જોયું તો લક્ષ્મી પોતાને કપાળે હાથ ફેરવતી હતી. બાળકની ચીસથી તેમનું હૃદય ઠેકાણે આવ્યું.

'નકામી અહીં બેસી રહી છે. જા, જો છોકરાં રડે છે !' કહી તેમણે લક્ષ્મીને આઘી ખસેડી. લક્ષ્મી ગઈ અને તેઓ પલંગ ઉપર પડ્યા.

'મારે ફરી પરણવું પડશે.’ તેઓ બોલી ઊઠ્યા.