માલતીએ પરણેલાનું મહત્ત્વ બતાવતું કથન ફરી કર્યું.
મંજરીને વિચાર આવ્યો કે સનાતનને તે કાગળ લખે તો ? તે પોતે મુંબઈ જઈ સનાતનને આ ખરાબ રસ્તેથી બચાવે તો ? વિક્રમની વાતો વાંચેલી, અને તેમાં ખરાબ માર્ગે જતા પતિને છૂપે વેષે લલચાવી સુપંથમાં વાળનાર પત્નીઓની વાર્તાઓ તેના ધ્યાનમાં હતી. પણ તે કામ તો પત્ની કરી શકે ! પોતે કોણ ? શું સગપણ ? શો સંબંધ ? પારકાને માટે આ બધું કેમ થાય ?
તેનું હૃદય વીંધાઈ ગયું. તેને અને સનાતનને કશો જ સંબંધ નથી એમ તેની ખાતરી થઈ. અને છતાં હૃદય તેની પાછળ દોડતું હતું !
માલતી વિદાય થઈ. સનાતનની વધારે વાત છેડવાનું મંજરીએ બંધ રાખ્યું. તેનું સિરનામું પૂછી જોવાનો વિચાર પણ મોકૂફ રાખ્યો. શરમથી તે આગળ કાંઈ જ કરી શકી નહિ.
એકલી પડતાં ફરી તે વિચારમાં ગૂંથાઈ અને ગૂંચવાઈ. કાંઈ જ ન ફાવ્યું એટલે તેણે ગાવાનું શરૂ કર્યું. ગીતમાં પણ રડવું આવે એવી જ કડીઓ કંઠમાં આવ્યા કરતી હતી. આમ કેમ ?
સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં
ને મારા સૂનાં સિંહાસન કાન્ત રે
સ્નેહધામ સનાં સૂનાં રે !
આંબાની ડાળી મ્હોરે નમી
મ્હોંય કોયલ કરે કલ્પાંત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે !'
ગીત ગાતાં તે ખરેખર રડી પડી. એ કોને માટે રડતી હતી ? શાને માટે રડતી હતી ? તેનો ખોવાયેલો સનાતન જડ્યો અને પાછો ખોવાઈ ગયો !