પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરસી નજરઃ ૮૧
 


નીચે આવતાં આવતાં તેણે પોતાની માને બૂમ મારી :

‘બા ! જો, જલ્દી આવ, વ્યોમેશચંદ્ર પડી ગયા છે.”

નંદકુંવર પણ આ બૂમ સાંભળી બહાર આવ્યાં. બારીએથી જુએ છે તો ઘોડો ઊભો થઈ રહ્યો હતો, અને બેભાન અવસ્થામાં પડેલા વ્યોમેશચંદ્રની પાસે મંજરી ઊભી રહી હતી. વ્યોમેશના માથામાંથી સહજ લોહી નીકળતું હતું, તે મંજરીએ પોતાના લૂગડામાંથી કડકો ફાડી સાફ કરી નાખ્યું, અને આછો આછો પવન નાખતી તે વ્યોમેશના જાગૃત થવાની રાહ જોઈ રહી હતી.

દસ-બાર માણસો પણ આજુબાજુએથી ભેગાં થઈ ગયાં હતાં. નંદકુંવરે આવી વ્યોમેશચંદ્રના મુખ ઉપર સહેજ પાણી છાંટ્યું. વ્યોમેશચંદ્ર શુદ્ધિમાં આવ્યા, અને આસપાસ માણસો ઊભેલાં જઈ પોતે પડી ગયા હતા તેનું તેમને ભાન આવ્યું.

'હું પડી ગયો !' નંદકુંવરને જોઈ એક માતા આગળ નિરાધારપણાની લાગણી દર્શાવતું બાળક બોલે તે પ્રમાણે તે બોલ્યા.

‘હોય ! એ તો ઘોડાનું કામ છે. એ પણ ઘણી વખત માથું ફોડી આવતા.' દીનાનાથ પણ ઘોડે બેસતાં જાણતા હતા તેની યાદ લાવી નંદકુંવરે આશ્વાસન આપ્યું.

‘મને બહુ વાગ્યું નથી. મારે ઘેર કહેવડાવશો?” વ્યોમેશચંદ્રે વિનંતી કરી.

'ના ના, હમણાં કાંઈ ઘેર જવું નથી. હું થોડી દવા કરું. તમે સહજ અમારા ઘરમાં આરામ લ્યો અને પછી જાઓ.’

એટલામાં તો પેલો સાઈસ અને વ્યોમેશચંદ્રના માણસો આવી પહોંચ્યા. તેમના ઘર સુધી વ્યોમેશચંદ્ર પડ્યાની વાત ફેલાઈ ગઈ, અને તે સાંભળતાં જ તેઓ દોડતા આવ્યા.

સાઈસે ઘોડાને પકડ્યો. તેની ઇચ્છા હતી કે ઘોડાને ચાબુકના બે ફટકા લગાડી કાઢવા. પરંતુ જાનવરના શોખીન વ્યોમેશે જણાવ્યું કે :

'એને મારીશ નહિ, ખબરદાર !'

મંજરી આ સાંભળી ખુશ થઈ. વેર વાળે એવો સ્વભાવ વ્યોમેશચંદ્રમાં નહોતો એ જોઈ તેને સારું લાગ્યું.