પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હેમકુંવરબહેનને જોઈ નીમ્યાની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. પણ તુરત તેણે પોતાના મન પર કાબૂ મેળવી કાઢ્યો અને રોજની રીતે વાતો કરતી બેઠી. હેમકુંવરે પૂછ્યું : "ક્યાં ગયો હશે?"

"કોણ કહી શકે? શિર પર મોત છે."

"પાછા વળવાની વકી નહીં ને?"

"નહીં જ તો?"

"તું બા સાથે રહેવા ચાલી જઈશ ને?"

"ના રે ના, મારાં ઘરડાં સાસુ-સસરાને કોણ પાળે?"

"તમારામાં તો માનો વારસો મળે ને?"

"હા એની તો બહુ ચિંતા નથી."


૧૮ લૂંટાયા


ણ એ જ મોટી ચિંતાનો વિષય બન્યો. બાપ બીમાર પડ્યાના ખબર મળ્યા. પોતે માને ઘેર ગઈ. બાપનું અલમસ્ત શરીર, મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળતો હોય તેવી ઝડપે ગળવા લાગ્યું, કારણ કે એને દીકરીના દુઃખનો આઘાત લાગ્યો હતો. માના મન પરથી જે પ્રસંગ સરી ગયો, તે પ્રસંગે બાપની સમતાને અંદરથી કરકોલી ખાવા માંડી. બેઠો બેઠો એ તો ચિરૂટ જ પીતો હતો. આક્રંદ એ કરતો નહોતો. દીકરીની વાત પણ એ ઉચ્ચારતો નહોતો. સેલેના ધુમાડાનાં ગૂંચળાં જ એના અંતરના ગૂંચળાંના આકાર કહી બતાવતાં હતાં. બેઠાં બેઠાં જ એ ગળવા લાગ્યો.

નીમ્યા આવી તેને બાપે હમેશની માફક સ્મિત કરીને જ સત્કારી; વધુ કશો વલોપાત બતાવ્યો નહીં એટલું જ નહીં, પણ બનેલા બનાવની