પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાતેની રાષ્ટ્રભાવનાથી અંકિત ઉચ્ચ આત્મસંસ્કારિતા, અને ત્યાંના બ્રહ્મી સંસારના સીધા સંબંધમાંથી ઉદભવેલી માનબુદ્ધિઃ એ બેઉનું મિશ્રણ મને નવાઈભર્યું લાગ્યું. તેમણે મને વાતાવરણ બાંધી આપ્યું, કેટલીક વિગતો પૂરી પાડી, પછી વાર્તાસૃષ્ટિ મેં ખડી કરી. મારા એ સહાયકોનાં નામ ઇરાદાપૂર્વક અહીં આપતો નથી,

તમામ પાત્રો કલ્પિત છે, વાર્તાની સંકલના કલ્પિત છે. છતાં આ કૃતિની પરિપૂર્ણ પીઠિક વાસ્તવનિષ્ઠ છે. વલણોનાં વહેણ સાચાં છે. પાછલાં પ્રકરણોમાં યુદ્ધકાળનું આલેખન જેમ દર વિગતે વફાદાર અહેવાલ ન હોવા છતાં એનું કલ્પનારૂપ તથ્યાવલંબી છે, તે જ વાત આખી વાર્તા પરત્વે સાચી સમજી લેવાની છે.

ગુર્જર-બ્રહ્મી આંતરલગ્નો, ઝેરબાદી પુરાણ, હુલ્લડો, ફુંગીઓને લગતી વાતો, બ્રહ્મીજનો પ્રત્યેની ધૂર્તતા વગેરે સાચાં છે. આઠ વાસાના બાળને સુવાવડી માતા, તેમજ પ્લેગનાં દરદી, મણિપુર-માર્ગને પાર કરીને જીવતાં હિંદ પહોંચી આવ્યાના કિસ્સા બન્યા છે. અને ગોરા સાહેબનું દુઃખગૌરવ પણ મેં બિલકુલ નિરાધાર નથી ગાયું; એવો કિસ્સો બનેલો છે.

આ લખાણ એકધારું કર્યું છે, અને એક સર્જક તરીકે મારી પ્રત્યેક કૃતિના સર્જન દરમ્યાન તેમ જ તે પછી જે સુખસંવેદન મને દેવી શારદાનો વરદ હસ્ત આપે છે, તે તેણે આ વેળા તો મૂઠી ભરીને નહીં પણ ખોબલે ભરીને આપ્યું છે. આ પુસ્તક મેં સંતોષનો ઘૂંટડો ભરીને સમાપ્ત કર્યું છે.

છતાં લોભી વાચક! તમે તો કહ્યા વગર રહેવાના જ નથી કે પછી શારદુ-રતુભાઈનો હસ્તમેળાપ કેમ ન કરાવ્યો? પેલી ભત્રીજી તારાનું શું? ને પાછળ મૂકેલ શિવને, મા-હલાને, નીમ્યાને, ઢો-સ્વેને કેમ લટકતાં જ મૂક્યાં? અરે, શામજી-શાંતિદાસની શેઠ-જોડલીને પહાડો વચ્ચે હજારો રૂપિયાની નોટો છતાં 'પાણી! પાણી!' કરતી તરફડી મરતી કેમ ન બતાવી?