પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સરિયામ લૂંટ જ ચલાવી છે આપણે," ડૉ. નૌતમે સાફ કહ્યું, "હિંદુસ્તાનની જમીન દોરડે બાંધીને આંહી લાવ્યા છીએ? સોનું તમે વેચો છો તે શું હિંદુસ્તાનની ખાણોમાંથી આ બ્રહ્મદેશીઓના કલ્યાણાર્થે આવેલ છે? ગોરાઓની સરકાર છે, એને રીઝવીએ છીએ ને બરમાને ઠગીએ છીએ. કઈ નીતિની આપણે હિંદીઓએ છાપ પાડી છે ? ક્યો હિંદી આંહી મિશનરી બનીને ઘર કરી રહ્યો છે? ક્યો સાધુ, ક્યો સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર આંહી નિંરાતે રહ્યો છે? આ લોકોને આપણી સંસ્કૃતિનો કોણે પરિચય કરાવ્યો છે? કે કોણે એમની સંસ્કૃતિનો સમાગમ કર્યો છે?"

"સંસ્કૃતિ? આ બચાડાની સંસ્કૃતિ!" શાંતિદાસ હસ્યા" "તમે પણ દાક્તર ! હવે તો ભાઈસા'બ ભાષાનો વ્યભિચાર કરો છો હો!"

'ભાષાનો વ્યભિચાર' એ શાંતિદાસ શેઠનો ખાસ પ્રયોગ હતો. ગુજરાતીઓનાં કોઈ પણ સભા-સમારંભ થતાં ત્યારે મુખ્ય વક્તા પોતે જ બની જઈ પોતે હંમેશાં ઊછળી ઊછળીને ભાષણ કરતા. તેમના લાક્ષણિક પ્રયોગ આટલા

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

એક કવિ ખબરદારની ટૂંક; અને બીજું-
'બર્મા, ધ લૅન્ડ ઑફ પેગોડાસ!' (બર્મા, ભવ્યમંદિરોની ભૂમિ!)
ને ત્રીજું-
'ભાષાનો વ્યભિચાર!'

એમાંથી 'બર્મા ઇઝ ધ લૅન્ડ ઑફ પેગોડાસ' પોતે પંડિત જવાહરલાલની પધરામણી પછીથી વાપરવું છોડયું હતું, કારણકે શાંતિદાસ શેઠે સ્વાગત-ભાષણમાં એ શબ્દો વાપર્યા તેના પર પણ પંડિતજીએ ટોણો લગાવ્યો હતો કે, "બસ! શું બર્મા ફક્ત પેગોડાનો (મંદિરોનો) જ દેશ છે! બાકી શું બર્મા કશું જ નથી? ગોરા લોકોએ ગોખાવેલું જ ગોખ્યા કરો છો? બર્મામાં માણસો નથી શું ? મંદિરો જ