પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૪૫
 


ળતી એ માઝમ રાત : મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં, અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ, કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.

એવા અંધાર-વીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લુંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.

એનાં એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો (ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે; ખતરીસાની જરૂર હતી દીવાલ ખોદવા માટે.

ખતરીસો કામે લાગ્યો. મકાનની દીવાલ ખોતરાવા લાગી. ધીરે ધીરે માટી ઝરવા લાગી. ધીરે ધીરે — કોઈ ને કાને ન પડે એવો એ ખોતર કામનો અવાજ હતો.

થોડી વારે એ દીવાલની અંદર બાકોરું પડ્યું, જીવતા શરીરને કરકોલીને કીડાએ જાણે ઘારું પાડ્યું. માનવીએ ખાતર દીધું (બાકોરું પાડ્યું). કોને ઘેર? હરિને ઓરડે.

હરિની ઉપાસનાનું એ થાનક હતું. હરિનાં ભજનિક અંદર ભજન ગાતાં હતાં. ખડગધારી આદમીને કાને, એ બાકોરા વાટે ગાનના સૂર રેડાયા. શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું. પણ કોઈક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોય ને પચીસ ત્રીસ સ્ત્રી-પુરુષ-કંઠો ઝીલતા હોય, એવું એને સમજાણું. એણે મોં મલકાવ્યું, એ મલકાટ રાત સિવાય કોણ જોઈ શકે ? એના ખતરીયાએ ખોતરકામ આગળ ચલાવ્યું. એને ખબર નહોતી રહી, પણ ખતરીસો