પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૭૫
 



માલે જેસલને પૂછ્યું,
આપણે હોઈ ઓળખાણું;
હાથે પંજો દૈ દૈ મળ્યા,
ઈ તો સાધુની સાનું. — એડો રે૦

ધીરે જોત્યા ધોરી તમે,
કૂવે કડવાં પાણી;
આરાધે અમૃત હુવાં,
ઈ તોળલ કાઠિયાણી. — એડો રે૦

સાવ સોનાની ગરુની બાળંગી
તેમાં રૂપાંદે રાણી;
માગ્યા માગ્યા મે વરસાવિયા
ઈ માલા ઘેર આણી.—એડો રે૦

જેસલે વાવી પારસ પીપળી
માલે વાવી જાળ;
પાંડુ પિયાળે પરઠિયું
ડાળ્યું વરમંડે જાય. — એડો રે૦

*

ચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા મારગ પર એક જ ઠેકાણે બે એકલવાયાં ઝાડવાં આજ પણ લીલાંછમ લહેરાય છે. એક પીપળી છે ને એક જાળ્ય છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ જળઝરણું વહે છે. માણસનું મોત નિપજાવે એવા એ રણનાં કડવાં પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી ? મોતની કેડે જીવન કોણે સરજાવ્યું ?

કહે છે કે એક દિવસ ત્યાં ચાર માનવીઓનો મિલાપ થયેલો. નરનારીનાં બે જોડલાં અંતરિયાળ ઓચિંતાં મળ્યાં હતાં.

"રામ રામ !”