"રામ !"
"ક્યાં રહેવું?"
"રહેવું મારવાડમાં."
"આમ શીદ ભણી?"
"કચ્છ ધરામાં જાયેં છયેં. ત્યાં જેસલ પીર અને સતી તોળી નામના બે સંતો થયાં છે એમ સાંભળ્યું, ને મન થયુંકે દીદાર તો કરી આવીએ."
"તમારે ક્યાં રહેવું?" મરુ ધરીના માનવીએ પૂછ્યું.
"અમારે રહેવું કચ્છ ધરામાં. મેવાડમાં માલદેવજી અને રૂપાંદે નામે બે સંતો વધે છે તેની સુવાસ સાંભળીને મને થયું કે મિલાપ કરી આવીએ."
સામેનાં બે સ્ત્રીપુરુષ પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યાં.
બન્ને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બન્નેએ પણ પંજામાં પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની સાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પિછાન દીધી. ચારમાંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી.
"જેસલ પીર ! સંત માલદેવજી !" તોળલે હસીને કહ્યું : "તમ સરીખા દોનું નર આંહી મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભારણું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જૂદા પડશો ને !"
"આંહી રણમાં શું સંભારણું રાખીએ, હે તોળલ સતી !"
"પૂછીએ રૂપાંદે રાણીને."
રૂપાંદે બોલ્યાં : "હરિનાં જન મળે તેમાંથી જગતને લાભ જડે, ભૂખ્યાંદુખ્યાં માનવીઓનો આશરો બંધાય, એવું કંઈક સંભારણું."
"આ ધરતીમાં વટેમાર્ગુ અને પંખીડાં જુગોજુગ યાદ કરે