પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસલ જગનો ચોરટો
૧૮૩
 




જાડેજા રે, આળસ મરડીને જેસલ ઊઠિયા,
ભાંગી ભાંગી ભાયુંની ભ્રાંત;
પેલાં મળ્યા રૂપાં માલદેને,
પછી કીધી તોળલસેં એકાંત... જાડેજા હો !
વચન સંભારી વે'લા જાગજો !

જાડેજા રે, કંકુકેસરનાં કીધાં છાંટણાં,
મોડિયો મેલ્યો સતીને માથ: જાડેજા હો !
કુંવારી કન્યાએ વાઘા પે'રિયા હો જી
લાગી લાગી વીવાની ખાત... જાડેજા હો !
વચન સંભારી વેલા જાગજો!

જાડેજા રે, તોળલ રાણી મુખથી ઓચર્યાં હે જી
નદિયું સમાલ્યું ગળાવ... જાડેજા હો !
સહુ રે વળાવી પાછા વળ્યાં રે,
નવ વળ્યાં તોળાંદે નાર... જાડેજા હો !
વચન સંભારી વે'લા જાગજો !

એ જેસલ જાડેજા ! કોલ આપેલ તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી નીકળ્યા. મેં સો સો ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો ! મારો એવો શો અપરાધ થયો જેસલજી ! જાગો, જેસલ પીર ! સૂતા છો તે જાગો. નહીં તો આપણે નોગરાં (ગુરુ વિનાનાં, અજ્ઞાની) કહેવાશું. નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી (મૂરખી) કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની, કે આપણી સમાતને માથે પછી ધૂપ, ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા ! જગતને પારખું કરાવો, કે આપણા જોગ નકલી નહોતા, આપણા નેહ તકલાદી નહોતા, આપણા કોલ છોકરીઓના ખેલ નહોતા. આપણો આતમસંબંધ દુનિયાને દેખાડવાને નહોતે. જાગો જાડેજા !