પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરાતન જ્યોત
 


"ને વળી પૂજારીજી !” બીજા વિપ્ર બોલી ઊઠ્યા : “આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને ?"

"ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તે પછી તીર્થ જ જેઓનું છે તેના જ શા ભાગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી ?”

કેદાર ત્યાંથી ઊઠ્યો.


[૨]

ને કોઈ લોટો પાણી દેશો?”

એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળેઃ “વહુ, બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે.”

ફળીમાં બીજાં ત્રણચાર ઘર હતાં. ત્યાંનાં રહીશો આ પાણીની માગણી સાંભળતાં હતાં ને અંદરઅંદર વાત કરતાં હતાં કે, 'કોઢણી બોકાસાં નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું બાઈ ! રોજનું થિયું : એનો ઓછાયોય ભેંકાર કે'વાય, માડી !'

આટલી વાતો પતાવીને પછી પાછાં પાડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં. કોઈક સ્ત્રી બોલી ઊઠતી : “ઠીક સાંભર્યું, મારી વાછડી ક્યારની ભાંભરડા દિયે છે. તરસી થઈ હશે, તે પાણી પાઉં.” એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી.

પરસાળ ઉપરના પાણિયારાની નીચે ત્રણચાર સડેલાં તેમ જ સાજાંતાજાં કૂતરાં આવી કુંડામાંથી પાણી પી જતાં હતાં,