પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
પુરાતન જ્યોત
 

"હા આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી સામા પહોંચવાની જરૂર પડી છે.”

"શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? અહીં બોલાવોને !”

“આંહીં તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.”

“દુત્તો ! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે !” આઈ એ રમૂજ કરી : "ને ચેતવણી શેની?”

"કે જગ્યાની અંદર આઈયે ન જાય, અમરબાઈ બે'નનેય ન જાવા દે.”

“કાં ?”

"દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.”

"શાથી ?”

"પતિયાંને ભેગાં કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે-ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે. હમણાં તે એક પતણી ડોશીને ઝોળીમાં નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.”

એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.

“આ કોણ ગોકીરા કરે છે?” આઈએ પૂછ્યું.

"એ જ – એ પતણી ડોશી જ. દેવીદાસ મારાજ એનાં સડેલાં આંગળાં ધોવા બેઠા છે.”

આહીરાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયાં. પછી એમણે કહ્યું : “ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરવ કરાવી લે. ત્યાં હું આંહીં કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતાડિયામાંથી ઢેબરાં પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં. ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ-પાણી જઈ આવવું હોય તે જઈ આવ. આપણે આંહીં ઝાઝું રોકાવું નથી. અરેરે,