પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
પુરાતન જ્યોત
 


"મા, દુઃખની વાત સાંભળતાં જશો ?”

“કહોને બાપુ !”

“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે, ઘોડિયું બંધાવોને !”

“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને !”

"અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને મા !”

સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં. "દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે, બાપુ : કે ઈશ્વર સહુનું સારું કરજો ! ”

'બાવણ મતલબી હશે ભાઈ!' એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સુંડલી ભરી રસ્તામાં ઊભાં રહેતાં.

"ન ખપે, કશુંય ન ખપે ભાઈ લોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.

એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.

થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી: “જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?”

થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં, રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી બેસીશ, રખેને મારા ડહાપણનું હુંપદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો :

“આપણો સંઘરો આપણને જ દાટી દેશે; બે'ન ! તારા