પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
પુરાતન જ્યોત
 

અમરબાઈ કાઠીરાજની ડેલીમાં ક્યારે પેઠી, અને રામરોટી માગીને પાછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું :

"દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.”

"હેં ! ગોલ ...!”

કાઠીની ગાળોમાં પ્રિય શબ્દ, લાડકવો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ 'ગોલકી' અથવા પુરુષવાચક 'ગોલકીના' એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો.

પણ એ શબ્દનો ઉચ્ચાર કાઠીરાજના હોઠ ઉપર અધૂરો રહી ગયો.

એ હોઠની નજીકમાં જોગણના વદનની કલ્પના છબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના પ્રત્યેનો અપશબ્દ પોતાની જીભ ઊંચકી ન શકી.

નીચે બેઠેલા ચોકીદારોને એણે હાક મારી : "કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી ?”

માણસોએ જવાબ આપે : “એણે અમારી રજા માગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા ? અમારી જીભ કોણ જાણે શા કારણે તાળવામાં ચોંટી રહી.”

"એટલે ? ડાચાં ફાડીને બધા બસ એની સામે ટાંપી જ રહ્યા? તમારા માંહેલા એંશી વર્ષના બૂઢાઓનેય ત્યાં શું જોવા જેવું રહી ગયું’તું?”

માનવી જેને ચમત્કારોમાં ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે ? આત્માનું બળ જ્યારે એકઠું થઈને દેહ ઉપર ઝળોળી ઊઠે છે ત્યારે વાઘવરુ જેવાં મનુષ્ય પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ નથી જતાં ? પહાડ-શા પડછંદ પુરુષ એકાદ દુબળા ને બદસૂરત દેહની પાસે અવાક બને છે, તેનું શું રહસ્ય હશે? શ્રીકૃષ્ણ અર્જુનને વિરાટ