૪ : પણ એ જ હિંસા, જુઠ્ઠાણું અને સ્વાર્થ અમારા ઉપર આક્રમણ કરે છે એનું શું? જર્મનો જુઠ્ઠા છે એ ન જોયું ?
૫ : પહેલાં તો તમારાં જેટલાં આક્રમણ હોય એ પાછાં ખેંચી લો. પછી અજમાવો એ મહાત્માનો અસહકાર.
૬ : એ કેમ બને ? મારનાર અમને આવી મારી નાખવાનો.
૭ : મારનારને આશીર્વાદ આપો, પણ તમારો આત્મા નહિ. મરી જાઓ, પણ મારો નહિ, અને મારનારની આજ્ઞા માનો નહિ !
૮ : એમાં તો મારનારનો વિજય થવાનો !
૯ : મરેલા દેહ ઉપર વિજય કેવો ? એ તો વિજયનો પડછાયો માત્ર છે. અપરાજિત આત્મા આક્રમણ ઉપર સદા ય વિજયી છે. પૂછો ઈસુ ખ્રિસ્તને ! આજ ઈસુ જીવે છે કે એને મારનારા ?
૧૦ : એમાં અમને કશું સમજાય નહિ. એ સમયે તમારો અર્ધનગ્ન ફકીર કે તમે અર્ધજંગલી હિંદવાસીઓ ! અમને સમજાવતા પહેલાં તમે તમારા જ હિંદુમુસ્લિમ ઝઘડા જ એ રીતે પતાવો ને ?
૧૧ : પરદેશી સત્તાધારીઓ ! એ આપનાં કરતૂત છે. આપ અહીંથી પધારો એટલે અમે અમારું ફોડી લઈશું. Quit India ! જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો ! આ યુદ્ધ અને આ ઝઘડા એ તમારી આક્રમણનીતિના જ ભડકા છે.
૧૨ : અરે, આ જર્મની તમને ખાઈ જશે... જાપાન ખાઈ જશે !
૧૩ : પરોપકારનો સ્વાંગ ભજવવો હવે બસ કરો. તમે પણ અમને ખાધેલા જ છે ને – દોઢસો વર્ષથી ?
૧૪ : એમ ? જોવું છે? અમે જઈએ પછી સંભાળજો. મુંબઈ–કરાંચીના બારાંમાંથી અમને પાછા ન બોલાવવા પડે !
૧૫ : પાછા જરૂર બોલાવીશું. પણ તે મિત્ર તરીકે; માલિક તરીકે નહિ.
૧૬ : અરે, અરે ! આ ગોરાઓ તો ચાલ્યા... પણ તે હિન્દના ટુકડા કરીને...