જાણે અજંતા ઇલોરાના શિલ્પમાંથી તો આપ જાગૃત ન થયાં હો ! આપનો વેશ, આપના અલંકાર, આપનું મુખ મંડળ આપને ગુજરાતી સન્નારી તરીકે ઓળખાવતાં નથી.
ધિષ્ઠાત્રી : હું જરૂર ગુજરાતી છું. હવે તું કહી શકીશ મને કેટલાં વર્ષ થયાં તે ?
મુસાફર : વીસ કરતાં વધારે નહિ જ. કંઠ ઉપરથી પારખ્યાં હતાં એવડાં જ આપ છો.
અધિષ્ઠાત્રી : ( સહજ હસીને ) મારી વય વીસની નહિ, ત્રીસની નહિ પરંતુ તેરસો પચાસ વર્ષની ! સાડી તેરસો વર્ષની હું છું. તેર અને ઉપર અડધી સદી મારા જન્મ ઉપર હું ઝીલી રહી છું. કાંઈ સમજાય છે ?
મુસાફર : ન હોય. હું તો ગૂંચવાંઉં છું. સાડી તેરસો વર્ષ ? આપને ? ન બને.
અધિષ્ઠાત્રી : કેમ ? મને પ્રત્યક્ષ નિહાળે છે છતાં કેમ ગૂંચવાય છે ?
મુસાફર : સો વર્ષની વય સાંભળી છે...પત્રકારો અને ખબરપત્રીઓ વધારે ખેંચીને સવાસો સુધી એ વયને તાણે છે....... પણ... ....એક હજાર ત્રણસો અને પચાસ વર્ષનું આયુષ્ય ? કદી નથી સાંભળ્યું ! કાં તો હું સ્વપ્નમાં છું કે કાં તો મારું મગજ હાલી ઊઠ્યું છે.
અધિષ્ઠાત્રી : સ્વપ્નમાં અને જાગૃતિમાં બહુ ફેર નથી...માનવીના મગજ બધાં યે હાલતાં-ડોલતાં! ડહાપણ અને ઘેલછા વચ્ચે નહિ જેવુ જ અંતર છે. એટલે મારાં જીવનવર્ષ સાંભળી મૂંઝાઈશ નહિ.
મુસાફર : તો...આપ માનવી તો ન જ હો!...જો કે આજ સુધી અમાનવી કે અતિમાનવી મેં નિહાળ્યાં નથી.
અધિષ્ઠાત્રી : (સહેજ હસતાં) … ભૂતપ્રેત તો નથી લાગતી ને ?
મુસાફર : આ વીસમી સદીમાં જૂના ભૂતપ્રેત ભાગી ગયાં છે...
અધિષ્ઠાત્રી : અને નવાં ઊભાં થાય છે તે તું જાણે છે? ભૂત ભાગ્યાં